વાવ તાલુકાની ચાર યુવતિએ કેનાલમાં ઝંપલાવ્યુ: અગમ્ય કારણોસર લગાવી મોતની છલાંગ
અટલ સમાચાર,પાલનપુર
બનાસકાંઠાના વાવ તાલુકાના દેવપુરા પાસેની કેનાલમાં સોમવારે બપોરના 3 થી 4 વાગ્યાના સુમારે 4 યુવતિઓએ મોતની છલાંગ લગાવી દેતા ચકચાર મચી ગઇ છે. ત્રણ પિતરાઇ બહેનો સહિત એક જ સમાજની 4 યુવતિઓએ સામાજીક કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની વાયુવેગે જાણ થતા તરવૈયા મારફત શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના દેથળી ગામની ૪ યુવતિઓએ થરાદના દેવપુરા પાસેની મેઈન કેનાલમાં સોમવારે બપોરના સમયે અચાનક આપધાત કરવા મોતની છલાંગ લગાવી છે. પંથકમાં ઘટનાની જાણ થતા પરિવાર સહિતના ગ્રામજનો કેનાલ પાસે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. આ તરફ ડીઝાસ્ટર અને પોલીસ સહિતની ટીમ ઘ્વારા ચારેય યુવતિઓની શોધખોળ શરૂ કરી દેવાઇ છે. જોકે, કલાકોની જહેમતને અંતે પણ તરવૈયાઓ યુવતિઓને શોધી નહી શકતા વાતાવરણ ચિંતાજનક બન્યું છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, શિલ્પા સગરામભાઇ ઠાકોર(ઉં.૧૮થીર૦) અને જમના સગરામભાઇ ઠાકોર(ઉં.૧૯થીર૦) બંને સગી બહેનો છે. જયારે હકી પોપટભાઇ ઠાકોર(ઉં.૧૮થીર૦) તેઓની પિતરાઇ બહેન છે. આ તરફ પોતાના જ સમાજની મીનાક્ષી અરજણભાઇ ઠાકોરે છુટાછેડા લીધેલા છે. ચારેય યુવતિઓની મૈત્રી હોવાથી અવાર-નવાર એકબીજાને મળતી હતી.
જોકે, મીનાક્ષી શારિરીક રીતે વિકલાંગ તેમજ અન્ય બે યુવતિઓ પણ કોઇને કોઇ રીતે ટેન્શનમાં હોવાથી એકસાથે તમામે મોત વહાલુ કરવા કેનાલમાં ઝંપલાવ્યાનું સામે આવ્યુ છે. સ્થળ ઉપરથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મોત માટે કોઈ જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કરેલો છે. દેથળી ગામના સરપંચે જણાવ્યુ હતુ કે, બે યુવતિઓ પરિણિત જયારે બે યુવતિ કુંવારી છે. જોકે,અચાનક કેનાલમાં ઝંપલાવતા પંથકમાં ઘેરા શોકની લાગણી ઉભી થઇ છે.