ગંભીર@દક્ષિણ: નવસારી, વલસાડ જિલ્લામાં સ્પોર્ટ્સના સાધનો ખરીદવામાં સેટિંગ્સની દુર્ગંધ કેમ? દાહોદવાળી?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા રમતવિકાસ અધિકારીની કચેરીને મળેલી ગ્રાન્ટનો ખર્ચ અત્યારે પ્રગતિમાં છે. બંને જિલ્લામાં મળીને સરેરાશ એકાદ કરોડના ખર્ચે રમતગમતના સાધનો ખરીદવા ટેન્ડર પ્રક્રિયા થઈ પરંતુ ચોક્કસ પ્રકારની શરતોને કારણે અલગ નામધારી એજન્સી પરંતુ એક જ ઠેકેદારને વેપાર મળી રહ્યો છે. જો ચોક્કસ પ્રકારની શરતોને બદલે રમતગમતના સાધનોની ગુણવત્તા અને સરકારની ખરીદ નિતિને અનુસરવામાં આવે તો સરકારને સરેરાશ 40થી50 લાખનો ફાયદો થઈ શકે છે. જો ખરીદનાર અને વેપારી તેમના મનસુબામા સફળ થશે તો લાભાર્થીઓને રમતગમતના સાધનો મળી જશે, વિકાસ સળસળાટ થશે પરંતુ સરકારને નાણાંકીય બચાવનો સંપૂર્ણ છેદ ઊડી જશે. આવું કેમ અને કેવીરીતે તેના અગાઉના અહેવાલો બાદ આજે સ્પેશ્યલ રિપોર્ટમાં જાણીએ કે, કેવીરીતે એકાદ કરોડના વેપારમાં ધળાક દઈને 40થી50 લાખનો રોકડો નફો લેવાની ઉતાવળ કોને અને કેમ છે.
નવસારી જિલ્લામાં સરેરાશ 40 લાખના રમતગમતના સાધનો ખરીદવાની પ્રક્રિયા છે જ્યારે વલસાડ જિલ્લામાં પણ સરેરાશ 60 લાખના રમતગમતના સાધનો ટેન્ડર મારફતે ખરીદવાની દોડધામ છે. બંને જિલ્લામાં ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ટેન્ડર અપલોડ કરી ચોક્કસ શરતો રાખી સાધનો ખરીદવામાં આવી રહ્યા છે. હવે આ ટેન્ડરમાં તમે એક વેપારી તરીકે/નાગરિક તરીકે અથવા એક નિષ્પક્ષ પાર્ટી તરીકે ગમે તેટલું જોર લગાવો અથવા લગાવ્યું હોય તો પણ ટેન્ડરનો ઠેકો એક જ ચોક્કસ પાર્ટીને મળવાને રોકી શકો નહિ. ગમે તેટલા તમે અનુભવી હોય, ઉચ્ચ ગુણવત્તાનો સામાન આપો અથવા ખૂબ વ્યાજબી ભાવે આપો તો પણ ચોક્કસ શરતો એવી છે કે, સ્થાનિક અને બાહુબલી ઠેકેદારને વેપાર મળશે. આ થઈ એક વેપારીના આક્ષેપ મુજબની વાત પરંતુ હવે સમજીએ કે, સરેરાશ એકાદ કરોડના વેપારમાં કોણ કેવીરીતે 40થી50 લાખનો રોકડો નફો લેવા મથી રહ્યું અને કેવી છે તેની રણનીતિ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને જિલ્લામાં ટેન્ડર પ્રક્રિયા હેઠળ આવ્યું ત્યારે બજારનાં વર્તુંળોમાં ચર્ચા જામી કે, આ વેપારમાં કોણ કળા કરી જશે. આ દરમ્યાન અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ આવતાં એજન્ટો, વચેટિયા અને સમજાવટની કળા ધરાવતા લોકોના ફોન શરૂ થયા. સરકારને 40થી50 લાખનો ફાયદો થઈ શકે તેવી ખબર હોવા છતાં પ્રયાસો કેમ નહિ તે સૌથી મોટો સવાલ છે. આટલું જ નહિ, પ્રામાણિક અને મૃદુ મુખ્યમંત્રી અવારનવાર વહીવટી તંત્રને સુચના આપે છે કે, સરકારના ખરીદ નિયમો અને સરકારના નાણાંકીય બચાવ માટે પ્રયત્નો કરવા. વધુમાં આ બાબતે નવસારી અને વલસાડ જિલ્લા કલેક્ટરને પણ ધ્યાને મૂકાયું હોવાનું વેપારીઓ કહે પરંતુ બંને જિલ્લા કલેક્ટર ક્યારે અને કેવી રીતે યોગ્ય કરાવે તે જોવું રહ્યું. વાંચો નીચેના ફકરામાં ચોંકાવનારી વિગતો.
સરકારની ખરીદ નિતિમા ખૂબ પારદર્શકતા છે પરંતુ દાહોદ જિલ્લામાં તાજેતરમાં મનરેગા મામલે મટીરીયલ ખરીદીમાં જેવી રીતે નિયમો નેવે મૂક્યા અને તેમાં એજન્સીઓ સાથે વહીવટી અધિકારીઓ પણ ભરાઇ ગયા છે. એટલે કે, એજન્સીઓને સાચવવાં ગયેલા ટીડીઓ સહિતના અધિકારીઓ આજે જેલમાં હોવાનું જાણવા મળ્યું છે.
અધિકારી અને ઠેકેદાર એક જિલ્લાના ? એટલે ?
ટેન્ડર ભરતાં વેપારી આલમમાં બૂમરાણ છે કે, ખરીદનાર પાર્ટી એટલે કે અધિકારી અને વેપારી સંભવતઃ એક જ જિલ્લાના હોઈ ચોક્કસ પ્રકારની શરતોને મહત્વ આપ્યું હોઈ શકે છે. એક બીજી પણ દલીલ છે કે, જે સ્થાનિક વેપારીઓ (સ્પેશ્યલ ટેન્ડર ભરતાં) હોય તેઓ સામાન્ય રીતે પોતાના વિસ્તારમાં અન્ય કોઈ વેપારીને વેપાર નહિ કરવા દેવાની ફિરાકમાં હોય છે.
હવે વધું આગામી ન્યૂઝ રીપોર્ટમાં.