ગંભીર@દિયોદર: રાશન વિતરણમાં લાલિયાવાડીથી ધારાસભ્ય લાલઘૂમ, સુચનો કર્યા
અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક)
કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર દ્રારા મફતમાં સરકારી અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. જોકે દિયોદર તાલુકાના ગામડાઓમાં દુકાનદારો રેશનકાર્ડ ધારકોને સરકારી ધારાધોરણ મુજબ અનાજનો જથ્થો નહી આપતા હોવાના આક્ષેપો થયા છે. જેને લઇ સ્થાનિક ધારાસભ્યએ સ્થળ મુલાકાત કરી દુકાનદારોને અપીલ કરી હતી કે, રેશનકાર્ડ ધારકોને પુરતો જથ્થો આપવાનું કહેતા દુકાનદારોએ પણ ખાતરી આપી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામે સરકારી અનાજના વિતરણમાં લાલિયાવાડી સામે આવી હતી. જેની જાણ થતાં દિયોદર ધારાસભ્ય શિવાભાઇ ભુરીયાએ તાત્કાલિક અસરથી ગામની મુલાકાત કરી હતી. જ્યાં તેમણે અંત્યોદય, બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને પુરતો જથ્થો આપવા દુકાનદારને કહ્યુ હતુ. જોકે મિડીયાકર્મીઓ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં બાદમાં દુકાનદારે પુરતો જથ્થો આપવા બાંહેધરી આપી હતી.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, લોકડાઉનની સ્થિતિમાં ખેડૂતોને ખેતી કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે, હાલ ઉનાળુ બાજરી વાવેતર સમયે ખેડૂતોને બીજ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક કૃષિ આધારીત સાધનો મળી રહે તે માટે ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા હોય છે. આ તરફ સરકારે રેશનકાર્ડ ધારકો અને જેની પાસે રેશનકાર્ડ ન હોય તેવા તમામ લોકોને મફત સરકારી અનાજ વિતરણ કરવાની જાહેરાત કરેલી છે. જોકે દિયોદરના ડુચકવાડામાં વિતરણમાં લાલિયાવાડી થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.