ગંભીર@મેઘરજ: તરબૂચને કોરોનાનું ગ્રહણ, લોકડાઉનથી ખેડૂતોને નુકશાન
અટલ સમાચાર, મેઘરજ
મેધરજ પંથકમાં તરબૂચના મોટા પ્રમાણમાં થયેલ વાવેતરને કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યુ છે. લોકડાઉનને કારણે વાહન-વ્યવહાર બંધ હોવાથી તરબૂચ ખેતરમાં જ પડી રહ્યા છે. જેને લઇ અનેક સંકટો બાદ તૈયાર કરેલ પાકને ખરીદનાર કોઇ ન હોવાથી ખેડૂતોને મોટુ નુકશાન થઇ શકે છે. નોંધનિય છે કે, મેઘરજ પંથકમાં લગભગ 500 વિઘાથી વધુ જમીનમાં તડબૂચનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. ખેડૂતોને સરકારની સહાય મળે એવી ખેડૂતોની માંગ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અરવલ્લી જીલ્લાના મેઘરજના ખેડૂતોને તરબૂચનું વાવેતર કર્યા બાદ પડ્યા પર પાટુ જેવી સ્થિતિ બની છે. કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે વેપાર, ઉદ્યોગ અને વાહનવ્યવહાર પણ સંપૂર્ણ બંધ હાલતમાં છે. ખેડૂતે પકવેલ મોલ તૈયાર થવાની અણી પર હતું અને એકાએક લોકડાઉન થયું ત્યારે જે ફળની ઉપજ છે કે જેનું બહારના જિલ્લામાં અને રાજ્યમાં માર્કેટ છે. તેવા ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
લોકડાઉનને લઇ ખેડૂતો લોકલ ટ્રેક્ટરમાં ભરી ફક્ત 10 રૂપીયે કિલો એટલે કે 200 રૂપિયે મણ તડબૂચ વેચવા ખેડૂત મજબૂર બન્યા છે. જેના કારણે હાલ ખેડૂતની હાલત કફોડી બની છે. હાલ તડબૂચની ખેતીમાં વીઘાએ 70 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે લોકડાઉનને કારણે ખેડૂતે પોતે કરેલ ખર્ચ પણ નીકળતો નથી. તૈયાર થયેલ તડબૂચનો પાક ખેતરમાં જ પડ્યા પડ્યા ફાટી જવાની સ્થિતિ પેદા થઈ છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, તડબૂચની ખેતી 70 દિવસની હોય છે. ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ લાવી સારી માવજત કરીને ખૂબ સારા પ્રમાણમાં તડબૂચનો ઉતારો પણ આવ્યો છે. લગભગ 1 વીઘાએ 650 થી 700 મણ તડબૂચનો પાકનો ઉતારો આવ્યો છે. ત્યારે સામાન્ય રીતે સીઝનમાં 350 થી 400 રૂપિયે મણ તડબૂચ વેચાય છે. દરરોજની જિલ્લા અને જિલ્લા બહાર અને અન્ય રાજ્યોમાં પણ મેઘરજના તડબૂચ વર્ષોથી વેચતા હતા. પરંતુ આ વર્ષે તડબૂચના પાકને જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હાલ તમામ ટ્રાન્સપોર્ટ બંધ છે જેના કારણે લાખો મણ તડબૂચનો પાક ખેતરમાં જ પડી રહ્યો છે.