ગંભીર@પાલનપુર: તળાવમાં મૃત માછલીઓનો ખડકલો, દુષ્કૃત્ય કે કુદરતી ?
અટલ સમાચાર, પાલનપુર
કોરોનાના કહેર વચ્ચે પાલનપુર તાલુકાના ગામ તળાવમાં મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સવારે અચાનક વહેલી સવારે ગામના તળાવમાં અસંખ્ય મૃત માછલીઓનો ખડકલો જોવા મળતાં ગ્રામજનો સહિતના ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ કોઇ ઇસમે તળાવમાં ઝેરી કેમિકલ નાંખતાં માછલીઓના મોત થયાનુ સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યુ છે. જોકે માછલીઓનું મોત કુદરતી રીતે થયુ કે પછી કોઇ દુષ્કૃત્ય છે તે બાબતે પણ અનેક સવાલો ઉભા થયા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર તાલુકાના ભાગળ(જ) તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયાનું સામે આવ્યુ છે. પવિત્ર શ્રાવણ માસમાં ગામના તળાવમાંથી અસંખ્ય માછલીઓના એકસાથે મોતને લઇ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ તરફ કેમિકલથી માછલીઓ મારી અને બજારમાં વેચવાનું રેકેટ ચાલતું હોવાનું પણ સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યુ છે. તંત્ર દ્રારા તપાસ કરવામાં આવે તો માછલી મારવાના રેકેટનો પર્દાફાશ થઇ શકે છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાલનપુરના ભાગળ તળાવમાંથી મૃત હાલતમાં મળી આવેલી માછલીઓને લઇ અનેક સવાલો ઉભા થયા છે. શું કોઇએ કેમિકલ નાંખી આ માછલીઓની હત્યા કરી છે ? કોઇ ઇસમ દ્રારા આવુ કોઇ ગતકડું ઉભુ કરવામાં આવ્યુ છે ? માછલીઓના મોત કુદરતી થયા ? કે પછી કોઇ દુષ્કૃત્ય ? તે સહિતના સવાલો પંથકમાં ઉભા થઇ રહ્યા છે. જેને લઇ તંત્ર દ્રારા તપાસ હાથ ધરવામાં આવે તો હકીકત બહાર આવી શકે તેમ છે.