ગંભીર@સોનગઢ: સરકારી શાળાના કેટલા કરારી કર્મચારી ખાનગી શાળામાં સેવા આપે? તુરંત તપાસ જરૂરી

 
સોનગઢ
ટેકનિકલ રાહે તપાસ થાય તો મોટો ઘટસ્ફોટ થાય તેમ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સોનગઢ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓ માટે અને શાળાના સર્વોચ્ચ વિકાસ માટે રાજ્ય આદીજાતી વિભાગની ખૂબ મહેનત છે. જોકે અહિંની સરકારી શાળાની કેટલાક કરારી કર્મચારીઓ ઘણા સમયથી નજીકની ખાનગી શાળામાં નોકરી કરવા જતાં હોવાની ચોકાવનારી વિગતો આવી છે. પગાર અને કાગળ ઉપરની નોકરી સરકારી શાળામાં અને હકીકતમાં સેવા આપે છે નજીકની બાહુબલીની શાળામાં. આ કરારી કર્મચારીઓમાં પુરુષ જ નહિ પરંતુ મહિલાઓ પણ છે તેમજ પાંચેક જેટલા હોવાની બૂમરાણો છે. આ કરારી સ્ટાફ પટાવાળા અને સફાઇ કામ સાથે સંકળાયેલા છે પરંતુ કોઈ બાહુબલી ઈસમની સુચના/આદેશ અથવા મજબૂરીવશ ખાનગી શાળામાં વેઠ કરાવાય છે. જો છેલ્લા એક વર્ષના કેટલાક કરારી સ્ટાફની દૈનિક હાજરી બાબતે ટેકનિકલ તેમજ સોર્સથી તપાસ થાય તો મોટો ભાંડો ફૂટી શકે છે. વાંચો સમગ્ર અહેવાલ.


તાપી જિલ્લાના સોનગઢ ખાતે આદીજાતી વિભાગ હેઠળની અનેક આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં શૈક્ષણિક સ્ટાફ, વહીવટી સ્ટાફ અને જરૂરી કરાર આધારિત સેવાઓ લેવાય છે. જેમાં વર્ગ 4ના કામની કેટલીક સેવાઓ 11 માસના કરાર આધારિત એજન્સી દ્વારા લેવાય છે. મૂળ ફરજ સરકારી શાળામાં હોવા છતાં પટાવાળા, સફાઇ, વોચમેન કે રસોઈ કામના અમુક કરારીની સેવાઓ ખાનગી જગ્યાએ લેવાતી હોવાની ચોકાવનારી વિગતો આવી છે. એજન્સી હેઠળના પાંચેક જેટલા કરારી માણસોને કોઈના ઈશારે કહેવાતા જ્ઞાની સ્થળે ધકેલવામાં આવે છે. કોણ, કેટલા અને કેમ તેમજ કેવીરીતે સરકારીને બદલે ખાનગી જગ્યાએ સેવા આપે/અપાવે તે પણ વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણેક પુરૂષ અને બે જેટલી મહિલા સહિત પાંચેક જેટલા કરારી કર્મચારીઓને આદર્શ નિવાસી શાળામાં સતત ગેરહાજર રખાવાનો કારસો ચાલી રહ્યો છે. આ પાંચેક જેટલા કરારી કર્મચારીઓને ગર્ભિત ભયના ઓથાર હેઠળ રાખી પોતાની વેપારી શાળામાં સેવા ચાકરી કરાવતો ઈસમ ચર્ચાની એરણે ચડ્યો છે. આ ઈસમ છેલ્લા કેટલાક સમયથી એટલો બાહુબલી બની ગયો છે કે, ગાંધીનગર કચેરી હોય કે મોટા ગજાના નેતા હોય તો પણ તેને ફર્ક પડતો નથી. એટલે હવે જો કરારી સ્ટાફ પૈકી કેટલાને કઈ જગ્યાએ ગેરહાજર રખાવાય અને કઈ જગ્યાએ સેવા લેવાય તે બાબતે આકસ્મિક તપાસ થાય અથવા તમામના ખાનગી નિવેદન લેવાય અથવા ટેકનિકલ રાહે તપાસ થાય તો મોટો ઘટસ્ફોટ થાય તેમ છે. આથી હવે ખૂબ મોટો ખળભળાટ આવતાં રીપોર્ટમાં.