જઠરાગ્નિ@વાવ: ખેડુતોએ સ્વખર્ચે કેનાલ રીપેર કરી, અધિકારીઓ રહ્યા નિષ્ફળ
અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)
બનાસકાંઠાના ખેડુતોનો જઠરાગ્નિ નિર્દોષ રીતે જાગી ગયો હોવાની ઘટના સામે આવી છે. વાવ તાલુકામાં પથરાયેલી નર્મદા કેનાલ છેલ્લા કેટલાંક સમયથી જર્જરીત હોઇ રીપેર થતી ન હતી. આથી, અધિકારીઓની બેદરકારી સામે ખેડુતો ઉગ્ર થવાને બદલે ઉદાર બન્યા છે. ખેડુતોએ સ્વખર્ચે નર્મદાની કેનાલનું રીપેરીંગ કામ હાથ ધર્યુ છે. પંથકમાં ખેડુતોના વલણ સામે નર્મદાના સત્તાધીશો ક્લીન બોલ્ડ થયા છે.
વાવ તાલુકાના રાછેણા ગામની નર્મદા માઇનોર કેનાલ છેલ્લા કેટલાક મહિનાથી જર્જરીત બની હતી. અધિકારીઓએ ઉનાળા દરમ્યાન નજરઅંદાજ કરતા ચોમાસું બેસી ગયુ છે. આથી વરસાદી પાણી સંગ્રહ થાય અને નજીકના ખેતરોમાં સિંચાઇ થઇ શકે તે માટે કેનાલ રીપેર થવી અત્યંત જરૂરી હતી. પંથકના ખેડુતો નર્મદાના અધિકારીઓનું વલણ પારખી સ્વખર્ચે રીપેર કરવા મથી રહ્યા છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોન્ટ્રાક્ટરે માલ-સામાન લાવેલ છતાં રીપેરની કામગીરી વિલંબમાં મુકતા ખેડુતોનો જઠરાગ્નિ જાગી ગયો છે. રાછેણા ગામના સરપંચ સાથે ખેડુતોએ કેટલાક મજુરો બોલાવી કેનાલ રીપેરની કામગીરી હાથ ધરતા બનાસકાંઠા નર્મદા નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનિય છે કે, ઉત્તર ગુજરાતમાં નર્મદાના અધિકારીઓની કામગીરી સામે અવાર-નવાર ગંભીર સવાલો બને છે.