સમુહલગ્નઃ માજીરાણા સમાજના 21 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા
અટલ સમાચાર, ડીસા
ડીસા શહેરમાં રાણા એકતા સંગઠન દ્વારા માજીરાણા સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 21 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોને નવ વધુઓને આશીર્વચન પાઠવ્યા હતા.
સમાજમાં જાગૃતિ આવે અને કુરિવાજો દૂર થાય તે આશયથી દરેક સમાજની જેમ હવે માજીરાણા સમાજમાં પણ જાગૃતિ આવી રહી છે.. ત્યારે આજે ડીસા ખાતે પ્રથમવાર રાણા એકતા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં વસતા માજીરાણા સમાજના 21 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂઆત કરી હતી.
આ પ્રસંગે નવદંપતિઓને આશીર્વાદ સ્વરૂપે ભાગવત ગીતા ભેંટ સ્વરૂપે આપવામાં આવી હતી.
નવ દંપતિઓને આશીર્વાદ પાઠવવા માટે ગુજરાત સરકારના વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન માવજીભાઇ દેસાઇ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા શહેરમાં પ્રથમવાર યોજાયેલા માજીરાણા સમાજના સમૂહલગ્નમાં વિશાળ સંખ્યામાં માજીરાણા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.