ગદ્દારી@ફરજ: ખેડબ્રહ્માના સરકારી ગોડાઉનમાં મીઠાનો જથ્થો કચરા સમાન
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
ખેડબ્રહ્મા ખાતે અનાજના સરકારી ગોડાઉનમાં મીઠાનાં જથ્થો બિન ઉપયોગી બનતો હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે. પુરવઠા નિગમના ગોડાઉનથી સસ્તા અનાજની દુકાને પહોંચે તે પહેલાં મીઠું કચરા સમાન બની ગયું છે. સરકારી ખાદ્ય સામગ્રી સાચવનારા ફરજ પ્રત્યે ગદ્દારી દાખવે છે ? સવાલો ઉભા થયા છે.સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નજીક નવાં ચાંપલપુર વિસ્તારમાં રાજ્ય નાગરિક પુરવઠા નિગમનું ગોડાઉન છે. જ્યાં સ્થાનિક લોકોને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે. ગોડાઉનની અંદર અને બહાર મીઠું કચરામાં ફેંકી દીધું છે. કિલોગ્રામ વજનના એક બે પેકેટ નહિ પરંતુ મોટા પ્રમાણમાં મીઠું કચરા સમાન બનાવી દીધું છે.કચરા સમાન મીઠું સસ્તા અનાજની દુકાન દ્વારા નાગરિકોના પેટમાં કેમ જાય ? ગોડાઉનના કર્મચારીઓ શું ફરજમાં ગંભીર નથી? મીઠાંનો સત્યાગ્રહ ભૂલી ગયા કે શું ? કચરા સમાન મીઠું નાગરિકો સ્વિકારશે ?
આ તમામ સવાલો ઉભા થતાં હોઇ ખેડબ્રહ્મા પંથકમાં અનાજના સરકારી ગોડાઉનની શાખ જાળવી રાખવી જિલ્લા વહીવટી તંત્ર માટે આવશ્યક બની છે.