ગુજરાત: અલ્પેશ અને ધવલસિંહ સિવાય બે કોંગ્રેસી MLAની નીતિન પટેલ સાથે મુલાકાત
અટલ સમાચાર,ગાંધીનગર
રાજ્યસભાની ચૂંટણીને લઇને ભાજપમાં ગતિવિધિ તેજ બની છે. ભાજપે ખાલી પડનારી બે બેઠકો જીતવા માટે કવાયત શરૂ કરી દીધી છે. સોમવારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બાદ મંગળવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને કોંગ્રેસના બે ધારાસભ્ય મળ્યા છે. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા અને મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોરે તેમની સાથે મુલાકાત કરી છે. જોકે, બન્નેએ ભાજપમાં જોડાવવા બાબતે ઇનકાર કર્યો છે.
જોકે, સમગ્ર મામલે ઋત્વિજ મકવાણાએ જણાવ્યું કે, મને ખબર નથી આવી વાતો ક્યાંથી આવે છે. મારા વિસ્તારના ત્રણ ગામો એવા છે જે વરસાદમાં સંપર્ક વિહોણા થઇ શકે તેવી પરિસ્થિતિમાં છે. એટલે ત્યાં તાત્કાલિક ધોરણે વરસાદ પહેલાં કંઇ આયોજન કરવામાં આવે તે માટે નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. તેમની સાથે કોઇ રાજકીય ચર્ચા કરી નથી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, મેં ભાજપમાં જોડવવાનું વિચાર્યું જ નથી. કોઇ પ્રકારનો અસંતોષ નથી.
નિતીન પટેલની મુલાકાતને લઇ કપડવંજ વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય કાળુભાઇએ એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેઓએ ભાજપ ગંભીર આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓએ લોભ લાલચ આપવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ છોડી ભાજપ જોડાવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પત્રમાં કાળુભાઇએ જણાવ્યું કે હું કોંગ્રેસ પક્ષ છોડવાનો નથી, ફેલાવવામાં આવતી અટકળો ભાજપ બંધ કરે. વધુમાં કાળુભાઇએ જણાવ્યું કે અલ્પેશ ઠાકોરને હાથો બનાવી ભાજપ રાજનીતિ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સભ્ય અમિત શાહ ગાંધીનગર અને સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક પરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાતા રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપશે. રાજ્યસભાની આ બે બેઠકો પર ચૂંટણી યોજાશે. આ બે બેઠકો ખાલી પડશે, ત્યારે ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળ જોતાં બીજેપી અને કોંગ્રેસને એક-એક બેઠક મળે તેમ છે. રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટવા માટે 61 એમએલએના મત જરૂરી છે. કોંગ્રેસ પાસે નિયત સંખ્યાબળ કરતાં વધુ મતો છે. જ્યારે બંને બેઠકો ભાજપને પાછી મેળવવી હોય તો કોંગ્રેસના 11 ધારાસભ્યોના મત ઓછા કરવા પડે તેમ છે.