ગુજરાત: કોરોના સામે લડવા BJPના ધારાસભ્યો આપશે 1-1 લાખ: જીતુ વાઘાણી
અટલ સમાચાર, ડેસ્ક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 21 દિવસના દેશ વ્યાપી લોકડાઉનની જાહેરાત બાદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ કેટલાક નિર્ણયો કર્યા હતા. જેમાં રાજ્યની અંદર જીવન જરૂરી વસ્તુઓના પૂરવઠો જળવાઈ રહે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. તો સાથે જ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપશે તેવી જાહેરાત પણ કરી હતી. રૂપાણી સરકારની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ ધારાસભ્યોને 1-1 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવવા જાહેરાત કરી હતી.
ભાજપ પ્રમુખે દાવો કર્યો કે, સરકાર કોરોના સામે લડવા માટે અનેક પગલાં ભરી રહી છે. તેવા સંજોગોમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો અને પદાધિકારીઓ પણ તંત્ર સાથે સંકલન જાળવી લોકોને મદદ કરે તે જરૂરી છે. 21 દિવસના લોકડાઉન પિરિયડ દરમિયાન નાગરિકો ગભરાય નહિ અને તેમને જીવન જરૂરી તમામ વસ્તુઓ મળી રહે તે માટે ભાજપ તંત્ર સાથે સંકલન કરશે.