રિપોર્ટ@સુરત: રેલવે સ્ટેશને નાસભાગમાં મૃતકના પરિજનોને 10 લાખની આર્થિક સહાય

અટલ સમાચાર, ડેસ્ક
સુરત રેલ્વે સ્ટેશન ઉપર ગતરોજ તાપ્તિ ગંગા ટ્રેનમાં ચઢતી વેળાએ મુસાફરો વચ્ચે સર્જાયેલી અવ્યવસ્થાના કારણે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. જે ઘટનામાં ચાર મુસાફરો બેભાન થઈ ઢળી પડતા એકનું મોત નીપજ્યું હતું. જ્યારે એકને સ્થળ ઉપર જ પ્રાથમિક સારવાર આપી અન્ય બે ઇજાગ્રસ્તોને સુરત સ્વિમેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સુરત રેલ્વે સ્ટેશન પર બનેલી આ ગંભીર ઘટના પગલે કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના ઝરદોશે હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત અને મૃતકના પરિવારની મુલાકાત કરી સાત્વના પાઠવી હતી. એટલું જ નહીં પરંતુ આ ઘટનામાં મોતને ભેટેલા મૃતકના પરિવારને કમ્પોઝિશન સ્કીમ હેઠળ વળતર ચૂકવવા અંગેની જાહેરાત પણ કરી હતી. કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દ્વારા આ ઘટનાને ખૂબ જ દુઃખદ અને ગંભીર ગણાવી હતી. જ્યાં સુરત રેલવે સ્ટેશન ઉપર સર્જાયેલી આ વ્યવસ્થા ના પગલે મંત્રીએ તાત્કાલિક ધોરણે ગતરોજ મોડી સાંજે એક હાઈ લેવલની મીટીંગ બોલાવી હતી.
સુરતના અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષના અધ્યક્ષ સ્થાને મળેલી આ હાઈ-લેવલની મિટિંગમાં સુરત જિલ્લા કલેકટર આયુશ ઓક,રેલવે વિભાગના પોલીસ અધિકારી સરોજ કુમારી, રેલવેના ડીઆરએમ અને એઆરએમ સહિત અન્ય અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી દ્વારા સુરત રેલ્વે સ્ટેશન ઉપર બનેલી ઘટનાની મિટિંગમાં સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત અધિકારીઓને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. બનેલી ઘટના ને લઇ રેલ રાજ્યમંત્રી દ્વારા આગામી ચાર દિવસ સુધી ચાર જેટલી વિશેષ ટ્રેનો દોડાવવા અંગેની જાહેરાત કરી હતી.