તૈયારી@ખોડીયારમંદિર: વરાણા ગામે 15 દિવસના મેળાની તડામાર દોડધામ, રવિવારથી શ્રધ્ધા, ઉલ્લાસનો રંગ જામશે

 
Varana

અટલ સમાચાર,પાટણ 

ઉત્તર ગુજરાતનો મીની કુંભ એટલે વરાણા ખોડીયાર માતા મંદિર મહા સુદ એકમથી પૂનમ સુધી ભરાતો લોકમેળો. પાટણના વરાણા ગામે મહા સુદ એકમથી પૂનમ સુધી ભરાતા લોકમેળાને લઈને આઈ શ્રી ખોડીયાર માતા મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો માતાજીના દર્શનાર્થે આવશે.

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં સમી તાલુકાના વરાણા ગામે બિરાજમાન આઈ શ્રી ખોડીયાર માતાના મંદિરે દર વર્ષે મહાસુદ એકમથી પૂનમ સુધી પરંપરાગત રીતે લોકમેળો ભરાય છે. જેને મીની કુંભ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેળો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે. મેળામાં 15 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે અને માતાજીના દર્શન કરી મેળાની મોજ માણે છે.

Varana

મહત્વનું છે કે, આ મેળામાં ઘરવખરીની ચીજ વસ્તુઓ, સજાવટની ચીજ વસ્તુઓ અલગથી બજાર ભરાય છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે વરાણા ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટ દ્વારા મેળો યોજવામાં આવ્યો ન હતો, ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીના ડર વગર પરંપરાગત રીતે મંદિર પરિસર ખાતે લોકમેળો યોજાશે. 22 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી મેળો યોજાશે. જેને લઇ ખોડીયાર માતા મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

15 દિવસ દરમિયાન માતાજીનું મંદિર 24 કલાક રહેશે ખુલ્લુ

ગ્રામ પંચાયત દ્વારા યાત્રિકો માટે પીવાના પાણીની, પાર્કિંગની તેમજ શ્રદ્ધાળુ ભક્તો મંદિર સુધી પહોંચી શકે તે માટે અલગ અલગ ત્રણ જેટલા રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. 15 દિવસ દરમિયાન માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે 24 કલાક ખુલ્લુ રહેશે. જેથી બહારગામથી આવતા શ્રદ્ધાળુઓ ભક્તો કોઈપણ સમયે માતાજીના દર્શન કરી પોતાની બાધા માનતા પૂર્ણ કરી શકશે.

Patan

યાત્રિકો માટે રહેવા અને જમવાની વિનામૂલ્ય વ્યવસ્થા 

ખોડીયાર માતા મંદિર ટ્રસ્ટ દ્વારા મેળામાં આવનાર તમામ યાત્રિકો માટે રહેવા અને જમવાની વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષની સરખામણી ચાલુ વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો માતાજીના દર્શને આવશે તેને લઈ તમામ તૈયારીઓ મંદિર દ્વારા પૂર્ણ કરવામ આવી છે.