હડકંપ@મહેસાણા: પીઆઇ સહિત 2 પોલીસ કર્મચારી સસ્પેન્ડ, એક કેસમાં ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા તાલુકામાં થોડા સમય અગાઉ વ્યાજ ખોરોના ત્રાસના કારણે યુવકે આપઘાત કરી મોત વ્હાલું કર્યું હતું. જે કેસમાં પરિવારજનોએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મહેસાણા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પરમારે અને પી.એસ.આઈ બી.એમ પટેલે વ્યાજ ખોરો વિરુદ્ધ તપાસ કરવામાં બેદરકારી રાખી હોવાનું ઉપરી અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું હતું. આથી ગૃહ વિભાગની જોગવાઈ આધારે બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હોવાની વિગતો સામે આવી છે. ઘટનાક્રમને પગલે મહેસાણા જિલ્લા પોલીસ આલમમાં સમગ્ર મામલે ખળભળાટ મચી ગયો છે.
મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક યુવકે આત્મહત્યા કરી હતી. આપઘાતથી મોત મામલે મૃતકના પરિજનોએ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં વ્યાજખોરો વિરુદ્ધ તપાસ મામલે મહેસાણા તાલુકા પી.આઈ આર.એસ.પરમાર અને પી.એસ.આઈ બી.એમ પટેલની પારદર્શક ફરજની જવાબદારી બનતી હતી. જોકે તપાસ દરમ્યાન બંને પોલીસ કર્મચારીઓએ બેદરકારી દાખવી હોવાનું નોંધવામાં આવ્યું હતુ. જેથી બંને પોલીસ કર્મચારીઓને હાલમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દુષ્પ્રેસણ મામલે તપાસમાં કંઇક થયું હોવાની વાતે વેગ પકડ્યો હતો. આપઘાતથી મોત બાદ આરોપીઓની ખાત્રી કરવી, તેમના વિરુદ્ધ જરૂરી પુરાવા એકત્ર કરવા સહિતની ધોરણસરની કાર્યવાહી આગળ વધારવા મામલે બેદરકારી થઈ હોવાની શક્યતા છે. જોકે હજુ સુધી સસ્પેન્ડનો કોઈ પત્ર કે સત્તાવાર બાઇટ નહિ આવતાં સસ્પેન્ડ બાબતે વધુ સ્પષ્ટતા મળી શકી નથી.