દુ:ખદ@સુરેન્દ્રનગર: લખતર નજીક આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત

 
Surendranagar

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગરના લખતરના ઝામર ગામ નજીક આઇસર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે. પલાસા ખાતે માતાજીની બાધા પુરી કરવા જતાં સમયે અકસ્માત નડ્યો હતો. બનાવની જાણ થતા જ લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે સેન્ટ્રો કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મહિલા અને બાળકોનો પણ સામેલ હતા.

લખતર-અમદાવાદ હાઇવે અકસ્માતનું એપીસેન્ટર બન્યું છે. 4 દિવસમાં જ આ હાઇવે પર 5 લોકોના મોત થયા છે. ઘટનાને કારણે હાઇવે પણ પ્રભાવિત બન્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ સાયલામાં રોડ ક્રોસ કરતા એક યુવકને ફુલ સ્પીડમાં આવતી કારે અડફેટે લીધો હતો. જે બાદ યુવકનું મોત થયું હતું. આ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતા કારને કબ્જે લીધી હતી. સાયલા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.