અંબાજીઃ માઈભક્તોને આર્કષવા ગબ્બર પર 13 કરોડના ખર્ચે, ભારતના સૌથી મોટા લાઈટ અને સાઉન્ડ શોનું આયોજન
અટલ સમાચાર, ડેસ્ક
મા અંબાના ધામ અંબાજીમાં આવતા માઈભક્તોએ રાત્રી રોકાણ કરવા આર્કષવા ગબ્બર પર્વત પર 13 કરોડના ખર્ચે ભારતના સૌથી મોટા લાઈટ અને સાઉન્ડ શોના આયોજન કરાઈ રહ્યું છે. સોમનાથની જેમ ગબ્બર ઉપર નિ:શુલ્ક લાઈટ&શો જોઈ શકાશે. જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે પણ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવનાર છે. ત્રણ દિવસ કાર્યક્રમમાં અંબાજીમાં યજ્ઞ હોમ હવન અને ભજનથી ભક્તિમય માહોલ રહેશે. 8થી 10 એપ્રિલના 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શક્તિપીઠ અંબાજી ગબ્બર પર પરિક્રમાને લઇને જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, 08મી એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મા અંબા ચરણોમાં શીશ ઝુકાવી ગબ્બર ખાતે સાંસ્કૃતિક વિલેજ અને ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલ 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેનાથી અંબાજી દર્શને આવતા લાખો માઈભક્તોને એક જ જન્મમાં 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો મળશે. તેમણે કહ્યું કે, આ પરિક્રમાની વ્યવસ્થા સારી રીતે જાળવવા માટે 14 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને અધિકારીઓને તે પ્રમાણે કામગીરી ફાળવાઇ છે.
સવારે-9.00થી સાંજે-5.00 સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-5 યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે તથા સવારે-10.00થી સાંજે-04.00 સુધી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન/સંત્સંગ કાર્યક્રમો યોજાશે. આરતીમાં સાંજે-06.30 કલાકે મહાઅભિષેક કાર્યક્રમ યોજાશે.