આગાહી@ગુજરાત: અંબાલાલે કહ્યું ઉત્તરમાં નવરાત્રીમાં વરસાદ આવશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક 

બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતાં ગુજરાતમાં હવામાન વિભાગે 4 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા સેવાઇ છે. 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
 

શું કહ્યું અંબાલાલ પટેલે ? 

અંબાલાલે વધુમાં જણાવ્યું કે, 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. 23 થી 25 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે. 

નવરાત્રિ દરમ્યાન સામાન્ય વરસાદ: હવામાન વિભાગ

હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં આજે અને  24 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, દમણ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.