દુ:ખદ@સરત: વધુ એક રત્નકલાકારનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં વ્યાજખોરનો ત્રાસ હોવાનું ખૂલ્યું

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં વ્યાજખોર અને સોનીના ત્રાસથી એક રત્નકલાકારે આપઘાત કર્યો છે. રત્ન કલાકારે સુસાઇડ નોટ લખીને આપઘાત કરતા પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસે તાત્કાલિક અસરથી સોનીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા હરિ દર્શનમાં રહેતા રત્નકલાકાર કમલેશ રાદડિયાએ પોતાના ઘરે આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કમલેશ રાદડિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસ કરી હતી. 

પોલીસની તપાસમાં કમલેશ રાદડિયાએ લખેલી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.અંતિમ ચિઠ્ઠીમાં કમલેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જુનાગઢમાં રહેતા હિરેન નામના વ્યક્તિ પાસેથી કમલેશ રાદડિયાને પૈસા લેવાના હતા. હિરેને વધારે પૈસા કમાવી આપવાની લાલચ આપી હતી તેથી મૃતક કમલેશ રાદડિયાએ પોતાના સગા વાહલાઓ પાસેથી એક કરોડ જેટલી રકમ લઈને આ હિરેનને આપી હતી. ત્યારબાદ જૂનાગઢનો હિરેન નામનો ઇસમ કમલેશ રાદડિયાને પૈસા પણ આપતો ન હતો અને કમાણી પણ કરીને આપતો ન હતો.

જૂનાગઢમાં રહેતા હિરેન નામના ઇસમે મૃતક કમલેશ રાદડિયાને સુરતમાં રહેતા ચીમન સોની નામના વ્યક્તિ પાસેથી સોનુ લેવા માટે જણાવી દીધું હતું અને ચીમન સોની પાસેથી લીધેલા સોનાના પૈસા પોતે ચૂકવી દેશે તેવું હિરેને જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ હિરેને પણ આ સોનીને પૈસા ચૂકવ્યા ન હતા અને મૃતક કમલેશ રાદડિયા પાસેથી થોડું સોનુ લઈ ગયો હતો. તો સોનીને પૈસા ન મળવાના કારણે તે મૃતક કમલેશ રાદડિયાને તે પૈસા માટે દબાણ કરતો હતો.

કમલેશ રાદડિયાએ લખેલી સુસાઇડ નોટમાં એવી પણ માહિતી સામે આવી છે કે, તેમને પોતાના દીકરાને વિદેશ ભણવા જવા માટે પોતાના બે મિત્રોના સંબંધી લોકો પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા હતા. આ ઉપરાંત પોતાના સુસાઈડ નોટમાં કમલેશ રાદડિયાએ તેમના પર પૈસા માટે દબાણ કરાતું હોવાનું પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મહત્વની વાત છે કે, કમલેશ રાદડિયાએ કોની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તેની માહિતી હજુ સુધી મળી નથી. આ ઉપરાંત કેટલા રૂપિયા વ્યાજ લીધા છે તે બાબતે પરિવારના સભ્યોને પણ કોઈ માહિતી આપી નથી. તો બીજી તરફ વ્યાજખોરો અને સોની દ્વારા જે દબાણ કરવામાં આવતું હતું તેને લઈને મૃતક કમલેશ રાદડિયા દ્વારા પોલીસનો પણ કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી.