રિપોર્ટ@ગુજરાત: 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી મળશે વિધાનસભાનું સત્ર, આ તારીખે રજૂ કરાશે બજેટ

 
Gujarat Vidhansbha

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ 176(1) મુજબ તારીખ 23 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.

 

વર્ષ 2023-24નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે. સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પાંચ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે.

 

સત્ર અંગે માહિતી આપતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલે ગુજરાત વિધાનસભાના બજેટનું આહવાન કર્યું છે. તારીખ 23 ફેબ્રુઆરીના રોજથી 29 માર્ચ સુધી બજેટ સત્રનું આયોજન થઈ રહ્યું છે. 23 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ વિધાનસભામાં સંબોધન કરશે. તારીખ 24 ફેબ્રુઆરીના રોજ બજેટ સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે. તારીખ 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી 35 દિવસો છે, તેમાંથી 25 દિવસો કામકાજ માટેના રહેશે. આ બજેટ સત્રમાં 27 જેટલી બેઠકો થશે. જેમાં ગુજરાત વિધાનસભાના કામકાજ માટેની ચર્ચા થશે. અંદાજપત્ર માટેની 16 જેટલી બેઠકો અને ચર્ચા થશે. સરકારી વિધાયક અને બિલ માટે પાંચ બેઠકોમાં ચર્ચા થશે તો રોજે-રોજ પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી માટેનો રહેશે.