ઘટના@અમદાવાદ: એરપોર્ટ પર સી.આર.પાટીલના પ્લેનને નડ્યો અકસ્માત, જાણો પછી શું થયું ?

અટલ સમાચાર, ડેસ્ક
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પ્લેનને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે અકસ્માત નડ્યો હતો. લેન્ડિંગ સમયે પ્લેનને બર્ડહીટ થયું હતું. આ સિંગલ એન્જિન પ્લેનમાં સીઆર પાટીલ સહિત 9 લોકો સવાર હતા. જોકે સદનસીબે કોઈ જાનહાન થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સોમવારે સુરતથી અમદાવાદ સિંગલ એન્જિન પ્લેનમાં સવાર થઈને આવવા નીકળ્યા હતા. તેમની સાથે પ્લેનમાં અન્ય 8 લોકો સવાર હતા. વેન્ચ્યુરા એર કનેક્ટે 1 જાન્યુઆરીથી અમદાવાદ-સુરત વચ્ચે 9 સીટર નોન શેડ્યૂલ ફલાઈટ શરૂ કરી છે. ત્યારે પ્લેનના લેન્ડિંગ સમયે વિમાન રનવેથી માત્ર 500 મીટર દૂર હતું, ત્યારે બર્ડહીટ થયુ હતું. સવારે વાતાવરણમાં ધુમ્મસને કારણે લો વિઝિબિલિટી હતી, જેથી અચાનક પ્લેન સાથે સમડી ટકરાઈ હતી. આ બાદ પાયલટે એટીસીને બર્ડહીટની સૂચના આપી હતી. આ ઘટના બાદ કેપ્ટને પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવ્યુ હતું. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, લેન્ડિંગ બાદમાં દુર્ઘટનાથી વિમાનને કોઈ નુકસાની થઈ છે કે નહિ તે ચેક કરાયુ હતુ. ટેકનિશિયનોએ ચેક કરતા વિમાનને કોઈ પણ પ્રકારનુ નુકસાન થયુ ન હતું. એરલાઇન્સે પણ આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે બર્ડહિટ બાદ ફલાઇટમાં સવાર નવ મુસાફર સુરક્ષિત હતા. બર્ડહિટનો રિપોર્ટ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને કરાયો હતો. બાદમાં એરક્રાફ્ટને સંપૂર્ણપણે ચેક કરી સાંજે 5 વાગે અમદાવાદથી સુરત માટે રવાના કરાયું હતું.