ગુજરાતઃ ગરબાના પાસ પર 18 ટકા GST લગાવતા કોંગ્રેસે વિરોધ કર્યો, આપે સંસ્કૃતિનું અપમાન કહ્યું

વડોદરામાં 1 લાખથી વધારે ખેલૈયાઓ ગરબા રમે છે. રાજકોટમાં 50,000થી વધારે ખૈલેયાઓ ગરબે ઘૂમે છે. અમદાવાદમાં 4થી 5 લાખ ખેલૈયોઓ ગરબે રમે છે. તો સુરતમાં પણ 1 લાખથી વધારે લોકો ગરબે ઝૂમે છે. આ તમામ લોકોને આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબા રમવાના વધુ રૂપિયા ચૂકવવા પડશે.     

 
gst

અટલ સમાચાર, ડેસ્ક
 


રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18 ટકા GST નાંખ્યો છે. જો ગરબાના ડેઈલી પાસ 499 રૂપિયાથી વધારાનો હશે તો GST લાગશે. અને ડેઈલી પાસ 499 થી ઓછો હશે તો GST લાગુ નહિ થાય. ત્યારે ગરબા ખેલૈયાઓમાં ટિકિટ વધવાના સમાચારથી નિરાશા જોવા મળી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં મોટા મોટા પાર્ટી પ્લોટ પર ગરબાનું આયોજન કરાય છે. ત્યારે પાસના ભાવ વધવાથી આયોજકો મૂંઝવણમાં મૂકાયા છે. એક તો બે વર્ષ બાદ તેઓને ગરબા આયોજનની તક મળી છે, તેમાં પણ જો ટિકિટના ભાવ વધુ હશે તો ખેલૈયાઓ પાસ ખરીદશે નહિ, જેથી તેમની આવક પર અસર પડશે. ત્યારે આયોજકો અને ખેલૈયાઓએ ગરબાના પાસ પરથી GST હટાવવા માંગણી કરી છે.
 

વડોદરામાં 1 લાખથી વધારે ખેલૈયાઓ ગરબા રમે છે. રાજકોટમાં 50,000થી વધારે ખૈલેયાઓ ગરબે ઘૂમે છે. અમદાવાદમાં 4થી 5 લાખ ખેલૈયોઓ ગરબે રમે છે. તો સુરતમાં પણ 1 લાખથી વધારે લોકો ગરબે ઝૂમે છે. આ તમામ લોકોને આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબા રમવાના વધુ રૂપિયા ચૂકવવા પડશે.     

યુનાઈટેડ વેની ટિકિટ પર જીએસટી
જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ બાદ હવે ગરબા રમવા પર 18 ટકા GST લાગ્યો છે. વડોદરામાં ગરબાના પાસ પર 18 ટકા GST લગાવાયો છે. યુનાઈટેડ વેના ગરબા આયોજકોએ પાસનું રજિસ્ટ્રેશન શરૂ કરતાં પાસની કિંમત પર GST લગાવ્યું છે. અંદાજિત 4100 રૂપિયાના પાસ પર 738 રૂપિયા GST વસૂલાય છે. 
 
 
ગરબાના પાસ પર જીએસટી લગાવવા મુદ્દે આમ આદમી પાર્ટીએ પણ વિરોધ દર્શાવ્યો છે. AAP ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યુ કે, ગરબા પર જીએસટી લાદવો એ ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે. ભાજપ દ્વારા ગરબા પર જીએસટી લાદવો એ ગુજરાતની પરંપરાનું અપમાન છે. ગરબા એ શ્રદ્ધાનો વિષય છે, પૈસા કમાવવાનું સાધન નથી. ભાજપે ગરબા પર લાદવામાં આવેલ GST પાછો ખેંચવો જોઈએ.
 
ગરબાના પાસ પર GST લાગતાં વડોદરામાં કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે. વડોદરા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 18 ટકા GST પાછો લેવા માંગ કરી છે. આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ ચૂંદડી ઓઢી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ આ વિશે કહ્યુ કે, વડોદરા સંસ્કારી નગરી છે એ નગરીમા જ્યારે માતાનો તહેવાર, માતાજીની ભક્તિ કરવાનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ગુજરાતની ભાજપની સરકાર દ્વારા તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે. માતાજીની ભક્તિ અને આરાધના કરવા પર પણ જો તમે જીએસટી લગાવતા હોવ તો શું કહેવું.