બ્રેકિંગ@ગુજરાત: પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું રાજીનામું, જાણો શું કહ્યું ?
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. જયનારાયણ વ્યાસે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ લાંબા સમયથી ભાજપથી નારાજ હતા. હવે જયનારાયણ વ્યાસ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે.
જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, પાટણ જિલ્લા ભાજપ પર ચાર પાંચ લોકો કબજો જમાવીને બેઠા છે. જે પાર્ટીને આગળ વધારવાનું નહી પણ ટાંટીયા ખેંચનુ કામ કરે છે. તેમણે પાટણ જિલ્લા ભાજપથી કંટાળીને રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ પાર્ટીનું વાતાવરણ બગાડ્યું છે. મારી સતત અવગણના થતી હતી. હું સતત ફરિયાદી બનીને પાર્ટીમાં રહેવા માંગતો નથી.
આ સાથે તેમણે ચૂંટણી લડવાનો હુંકાર કરતા જણાવ્યું કે, હું ચૂંટણી લડીશ. સિદ્ધપુરના ગરીબ લોકો માટે કામ કરવા રાજકારણમાં આવ્યો છું. મારા માટે કોંગ્રેસ અને આપ બન્નેમાં દ્વાર ખુલ્લા છે. મારી પાસે કોંગ્રસ અને આમ આદમી પાર્ટી બંને ઓપ્શન છે. મહત્વનું છે કે, ચાર મહિના પહેલા જયનારાયણ વ્યાસે સિદ્ધપુરના સ્વામિનારાયણ મંદિરમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું અને સિદ્ધપુરનો વિકાસ રૂંધાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.