બ્રેકિંગ@ગુજરાત: GIDCના અનિયમિત બાંધકામને લઈને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની મોટી જાહેરાત

 
Balvantsin

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, GIDCના અનિયમિત બાંધકામ નિયમિત કરવામાં આવશે. GIDC ઘણા સમય પહેલાની છે. GIDCના અનેક એસોસિએશને માગણી કરી હતી. જે બાદ ગુજરાતના વેપારીઓના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. 1962 માં GIDCની સ્થાપના થયા બાદ ગુજરાતમાં હાલમાં 220 કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો આવેલ છે. જેમાં 70,000 થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે. 

રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જીઆઇડીસીની રચના કરવામાં આવેલ પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જીઆઇડીસી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામેલ છે. આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. આ બાબતો ધ્યાને લઇ જીઆઇડીસી દ્વારા અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની નીતિ અમલમાં લાવવાનો નિર્ણય કરેલ છે. સદર નીતિ આ પરિપત્રના દિવસથી ચાર મહિના સુધી અમલમાં રહેશે.

રહેણાંક વપરાશ માટે ખૂટતાં પાર્કિંગ માટે જે તે વસાહતના ફાળવણી દરના 15% તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના 30 % ના દરે દંડ વસુલવામાં આવશે. રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી -જીડીસીઆર -2017 ના ડી -9 વર્ગ મુજબ મળતાં મહત્તમ એફ.એસ.આઇ. થી 50 % વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે ૩૩ % વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવેલ છે. આ જોગવાઇઓ જોખમી અને હાનિકારક ઉદ્યોગોને લાગુ પડશે નહિ તથા પ્લોટની બહાર કરવામાં આવેલ કોઇ પણ બાંધકામને નિયમિત કરવામાં આવશે નહીં. 

મહત્વનું છે કે, અરજદાર દ્વારા નિયત નમુનામાં અને રીતથી આ પરિપત્રથી ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે. તથા આ વિનિયમો કાયમી નથી તથા આ પરિપત્રની તારીખથી અગાઉ કરેલ બાંધકામ ઉપર લાગુ પડશે. આ દર રહેણાંક માટે અમલી રહેશે જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે. આ નીતિ અંતર્ગત રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના 50 % સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. આ નીતિ અંતર્ગત વપરાશમાં ફેરફાર ( Change of use ) તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવેલ નથી.