જળસ્ત્રાવ@મહેસાણા: અમૃત મહોત્સવમાં વિવિધ ગૃપના સભ્યોનો પ્રેરણા પ્રવાસ, વિકાસના કામોથી રૂબરૂ થઈ રહ્યા

 
Mehsana

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

કેન્દ્ર સહિત રાજ્યભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે જળસ્ત્રાવ વિકાસ દ્રારા પ્રેરણા પ્રવાસનું અનોખું આયોજન થયું છે. જેમાં પોતાના જિલ્લાથી અન્ય જિલ્લાઓમાં જળસંચયના, સામૂહિક વિકાસના, કૃષિ વિકાસના વિવિધ કામો રૂબરૂ જોઈ સમજી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લામાં પણ જળસ્ત્રાવ વિકાસ કચેરી દ્વારા વિવિધ ગૃપના સભ્યો સાથે એક મોટી ટીમ પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના પ્રવાસે નિકળી છે.

આ ટીમના સભ્યો ઉત્તર ગુજરાતમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાથી થયેલ વિકાસ કામો નિહાળી અનુભવ લઇ માર્ગદર્શનનો પાયો રચી રહ્યા છે. પ્રવાસ પીએમકેએસવાય ડબલ્યુડીસી 2.0 પ્રોજેક્ટ મંજૂર થયેલ હોઇ સદર પ્રોજેક્ટોની સફળતા માટે ક્ષમતાવર્ધન હેઠળ પ્રેરણાપ્રવાસનું આયોજન થયું છે.

મહેસાણા જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમને વડી કચેરીએથી મળેલી સુચના મુજબ આઝાદી કા અમૃત મહોત્સવ તળે પ્રવાસ કાર્યક્રમ યોજી રહ્યા છે. ગામ સ્તરે આવેલી રચવામાં આવેલ જળસ્ત્રાવ કમિટીના સભ્યો, સ્વસહાય જુથના સભ્યો, યુઝર ગૃપના સભ્યો, ડબલ્યુડીટી એગ્રીકલ્ચર, ડબલ્યુડીટી કોમ્યુનિટી મોબેલાઈઝર સહિતની ટીમ બનાવી પોતાના સિવાયના અન્ય ત્રણ જિલ્લામાં પ્રેરણા પ્રવાસ નિકળ્યા છે.

જેમ પાટણ જિલ્લામાં જળસંચયના વિવિધ કામો જોયા, ખાસ કરીને સાંતલપુર વિસ્તારમાં આવેલી ફાર્મર કંપનીની સઘળી વિગતો મેળવી અને કૃષિ બાબતે પંપસેટ દ્વારા સિંચાઇનું સુવ્યવસ્થિત આયોજન જોઈ અભિભૂત થયા હતા. આ દરમ્યાન વિવિધ ગૃપના સભ્યોએ આતુરતાપૂર્વક કેટલાક પ્રશ્નો કરી રૂબરૂ વિગતો મેળવી હતી. ખેડૂતો સાથે સાથે મહિલાઓએ પણ સ્વસહાય જૂથ દ્વારા હાથવણાટના પહેરવેશ જોઈ ખુશી વ્યક્ત કરી હતી.

સૂત્રો એ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જળસ્ત્રાવ વિકાસ કચેરીના ઇન્ચાર્જ ડાયરેક્ટર એચ.એમ ચાવડાના માર્ગદર્શન હેઠળ એમડીટી એગ્રી આશાબેન ચૌધરીના વડપણ હેઠળની ટીમ પ્રેરણા પ્રવાસે રોજેરોજ કંઇક નવું શિખી સમજી માર્ગદર્શન મેળવી વિકાસ કામને રૂબરૂ થઈ રહ્યા છે.

Mehsana

આ પ્રેરણા પ્રવાસની ટીમ પાટણ જિલ્લા બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ વિકાસલક્ષી વિવિધ કામોને રૂબરૂ જાણી સમજીને સાબરકાંઠા જિલ્લાના પ્રવાસે જશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ સાબરકાંઠા જિલ્લામાં પણ જળસંચય, ખેડૂત કે મહિલા ગૃપ દ્વારા થતી સ્વરોજગારની સફળ કામગીરીથી સરળ રીતે પરિચિત થશે. જેનાથી પોતાના જિલ્લામાં પણ ગૃપ દ્વારા વિકાસલક્ષી યોજનાઓ થકી સ્વરોજગાર ઉભો કરી શકાય તેનું માર્ગદર્શન પણ મળી રહેશે.

Mehsana