દુ:ખદ@દાહોદ: શાળાની બેદરકારીએ લીધો બાળકીનો જીવ, સ્કૂલનો દરવાજો પડતાં વિદ્યાર્થીના મોત બાદ આચાર્ય સસ્પેન્ડ

અટલ સમાચાર, ડેસ્ક
દાહોદમાં સ્કૂલનો દરવાજો પડતા બાળકીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. દાહોદની રામપુરા શાળાનો બહારનો દરવાજો પડતાં ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે, જ્યારે બેદરકારી બદલ આચાર્યને સસ્પેન્ડ કરાયા છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદમાં શાળાની મોટી બેદરકારી સામે આવી છે. અહીં શાળાનો બહારનો દરવાજો પડ્તાં એક બાળકીને ઇજા પહોંચી હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ઘાયલ થયેલી 8 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે. અચાનક જ દરવાજો પડતાં બાળકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકીને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટનાને પગલે શાળા સામે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તાલુકા પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ, બેદરકારી બદલ આચાર્યને સસ્પેન્ડ કરાયા છે. શાળાની બેદરકારીએ એક બાળકીનો ભોગ લીધો છે. શાળામાં અનેક બાળકો અભ્યાસ માટે આવતાં હોય છે, ત્યારે શાળા દ્વારા આવી બેદરકારી કેમ સેવાઇ રહી છે, તે મામલે રોષ જોવા મળી રહ્યો છે.