ઘટના@વડોદરા: રખડતાં શ્વાને હુમલો કરતાં વૃદ્ધા લોહીલુહાણ, તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા
અટલ સમાચાર, ડેસ્ક
વડોદરા શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. નિઝામપુરાના અમરપાર્કમાં શ્વાને વૃદ્ધા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શ્વાને હુમલો કરતાં વૃદ્ધા લોહીલુહાણ થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના પગલે ઘાયલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા આવ્યા છે. રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે.
વડોદરામાં રખડતા શ્વાને વૃદ્ધા પર હુમલો કરતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અહીં સોસાયટીમાં રખડતા શ્વાનના આતંકથી રહીશો ત્રસ્ત છે. રહીશોનું કહેવું છે કે, શ્વાનના ત્રાસને કારણે બાળકો, વૃદ્ધો ઘર બહાર નીકળી શકતા નથી. સાથે જ રખડતા શ્વાનની સમસ્યાના કાયમી ઉકેલની માગ પણ કરવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વારંવારની આવી ઘટનાઓ બાદ સવાલો ઉઠી રહ્યા છે કે, રાજ્યમાં રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ ક્યારે? લોકો પર જીવલેણ હુમલો, તંત્રની કાર્યવાહી ક્યારે? સુરત બાદ હવે વડોદરામાં આતંક, તંત્ર શું કરે છે? ખસીકરણની વાતો છતાં ત્રાસ કેમ યથાવત? રખડતા ઢોર બાદ હવે શ્વાનનો કેમ વધ્યો આતંક? રખડતા શ્વાનના આતંક સામે ક્યારે લેવાશે પગલાં?