રિપોર્ટ@અમદાવાદ: PM મોદીની પરીક્ષા પે ચર્ચા, વસ્ત્રાપુરની શાળાની નૉડલ સ્કૂલ તરીકે થઈ પસંદગી

 
PM modi

અટલ સમાચાર, ડેસ્ક

પ્રધાનમંત્રીના પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમનું છઠ્ઠુ સંસ્કરણ 27 જાન્યુઆરીએ દિલ્હીમાં આયોજીત થવાનું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી GCERT દ્વારા બે વિદ્યાર્થી અને એક અનુરક્ષક શિક્ષકની પસંદગી થઈ છે. જે અંતર્ગત 23 જાન્યુઆરીએ અમદાવાદમાં ચિત્રકલા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, સીબીએસઈ તથા રાજકીય વિદ્યાલયના 100 વિદ્યાર્થીઓ ભાગ લેશે. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયને ભારત સરકારે નોડલ સ્કૂલ તરીકે પસંદગી કરી છે.

દિલ્હીમાં પ્રધાનમંત્રી પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં દાહોદમાં ધોરણ 10માં ભણતી યુગ્મા લલિતભાઈ લબાના અને અમદાવાદમાં ધોરણ 9માં અભ્યાસ કરતા દક્ષ ભદ્રેશભાઈ પટેલ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે સરકારી સ્કૂલના શિક્ષિકા પ્રાર્થનાબેન મેહતા એક એસ્કોર્ટ ટીચર તરીકે વિદ્યાર્થીઓની સાથે ભાગ લેશે.

આ તરફ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શાળાકીય વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પુસ્તક એક્ઝામ વોરિયર વિતરણ કરવામાં આવશે. આ પુસ્તકમાં પરીક્ષાના ડરને દૂર કરવા માટે અમુક અનુભવો અને ચર્ચાનો ઉલ્લેખ કર્યો છે. જેના ભાગરુપે રાજ્ય સરકારે ચિત્રકલા જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું છે. રાજ્ય સરકારે આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર અને સર્ટિફિકેટ આપવાની યોજના પણ બનાવી છે.