મુલાકાત@ગુજરાત: PM મોદી 1 નવેમ્બરે ફરી વતનમાં, મહાત્મા મંદિરથી 182 બેઠકના ભાજપના કાર્યકરોને સંબોધશે

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ત્યારે એ પહેલાં તમામ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા વધી ગયા છે. ત્યારે એકવાર ફરી PM મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. PM મોદી 1 નવેમ્બરના રોજ મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને સંબોધશે. તમામ 182 બેઠક પર એક જ સમયે ગાંધીનગરની ઉત્તર વિધાનસભા બેઠકના સ્નેહમિલનના કાર્યક્રમમાં PM મોદી વર્ચ્યુઅલ જોડાશે.

PM નરેન્દ્ર મોદી તારીખ 1 નવેમ્બરના રોજ મહીસાગર જિલ્લાના પ્રવાસે આવી શકે છે. સંતરામપુરના માનગઢ હિલ ખાતે PMનો કાર્યક્રમ યોજાશે. માનગઢ હિલને વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા છે. ઘણા લાંબા સમયથી આદિવાસી સમાજના લોકો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટેની માંગ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, માનગઢ હિલ ખાતે 1507 આદિવાસી યુવાનોએ અંગ્રેજો સામે આઝાદીની લડતમાં શહીદી વહોરી હતી. તદુપરાંત ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણેય રાજ્યોના આદિવાસી સમાજના લોકો માટે માનગઢ હિલ એ એક આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને અત્યારથી પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વધુમાં PM મોદી આગામી 31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેઓ ચૂંટણી પહેલાં રાજ્યમાં એકસાથે 3 કાર્યક્રમો કરશે. જેમાં મલુપુરમાં 4 ખાતમુહૂર્ત કરીને PM મોદી જંગી સભાને સંબોધશે તથા કેવડિયામાં સરદાર જયંતિએ એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. સરદાર જયંતિના દિવસે કેવડિયામાં સવારે પરેડ સાથે એકતા દિવસની ઉજવણી કરાશે. દર વર્ષની માફક આ વર્ષે પણ કેવડિયામાં PM મોદી IAS પ્રોબેશનર્સને સંબોધશે. કેવડિયાથી વડાપ્રધાન બપોરે અમદાવાદ એરપોર્ટ આવી ત્યાંથી બપોરના ત્રણ વાગે થરાદના મલુપુર ગામના હેલિપેડ ખાતે જાહેરસભાને સંબોધશે.