દુર્ઘટના@આણંદ: તારાપુર નજીક ગંભીર અકસ્માત, ટ્રક પલટી મારતા 3 વ્યક્તિના ઘટનાસ્થળે જ કરુણ મોત, 5 ઈજાગ્રસ્ત

અટલ સમાચાર, ડેસ્ક
આણંદના તારાપુર પાસે અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગતમોડી રાત્રે આણંદની તારાપુર મોટી ચોકડી પાસે ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. તમામ મૃતકો અમરેલીના રાજુલાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ દુર્ઘટનામાં ઘટનામાં બે બાળકો અને એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત અંગેની જાણ પોલીસને થતાં તારાપુર પોલીસની ટીમ પણ અકસ્માત સ્થળે દોડી આવી હતી. જોકે, અકસ્માત સર્જી ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. હાલ તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.