બિગબ્રેકિંગ@ગુજરાત: થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું, જાણો કેમ ?

 
Shankar Chaudhary

અટલ સમાચાર, ડેસ્ક

ગાંધીનગરમાં ચૂંટાયેલા 181 ધારાસભ્યોની શપથવિધિ પૂર્ણ થઈ છે. એક ધારાસભ્ય શપથવિધિમાં ગેરહાજર રહ્યાં હતાં. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા ગેરહાજર રહ્યા હતાં. જયેશ રાદડીયા વિદેશ હોવાથી શપથવિધિમાં હાજર રહી શક્યા નહી. આગામી દિવસોમાં ધારાસભ્ય તરીકે જયેશ રાદડીયા શપથ લેશે. ચૂંટાયેલા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે શપથ લેવડાવ્યા છે. તમામ ધારાસભ્યોની શપથવિધિ 2.30 કલાક કરતા વધુ સમય ચાલી હતી. કેટલાક ધારાસભ્યોએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતાં.

થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ભાજપના પ્રાથમિક સભ્યે પદેથી રાજીનામું આપ્યુ છે. વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. સી આર પાટીલ, ભારતીબેન શિયાળ, રત્નાકરજીની હાજરીમાં તેમણે રાજીનામું આપ્યું છે. પ્રદેશના મહામંત્રી, પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્યો હાજર રહ્યા હતાં. તમને જણાવી દઈએ કે, શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે બંધારણીય વ્યવસ્થાવા ભાગરૂપે અધ્યક્ષને પક્ષમાંથી રાજીનામુ આપવું પડતું હોય છે.

આ તરફ આજે ગુજરાત વિધાનસભામાં તમામ ધારાસભ્યોની શપથવિધિ બાદ હવે આવતીકાલે એક દિવસીય વિધાનસભાનું સત્ર મળશે. આ એક દિવસીય સત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે. આ સાથે આવતીકાલે મળનારા એક દિવસીય સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે.