રિપોર્ટ@ગાંધીનગર: મંત્રીઓને મળવાં જતાં લેજો આ કાળજી, ખાનગી રજૂઆત હોય તો ખાસ સાચવજો
![Gujarat Vidhansbha](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/d0a2d5df736181d32f08b477b0f0ef3f.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવું મંત્રીમંડળ આવી ગયા બાદ મુલાકાતીઓનો દોર ધમધમી ગયો છે. જેમાં કેટલાક શુભેચ્છા આપવા હજુ પણ આવતાં હોય તો ઘણાં પોતાની મુશ્કેલી કે રજૂઆત કરવા પણ આવતાં હોય છે. હવે જો તમે કોઈ બાબતે કે વિષયે રજૂઆત કરવા જતાં હોય ત્યારે કેટલીક કાળજી લેવી અગત્યની છે. એક તો કોરોના ગાઇડ લાઇન તો ફરજિયાત હોય પરંતુ રજૂઆત એવી હોય તો કંઈક વધારે કાળજી લેજો. જો તમારી રજૂઆત ખાનગી રાખવા ઈચ્છતા હોય અને માત્ર મંત્રીને જ જણાવવી હોય તો પૂર્વ તૈયારી કરવી પડશે. આવો જાણીએ કેવા સંજોગોમાં કેવી કાળજી રાખવી ફાયદાકારક બને તે જાણીએ....
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં રાજ્યનાં વિવિધ વિભાગોનાં મંત્રીઓની ઓફિસ આવેલી છે. અહિંથી આખા રાજ્યનું નેતૃત્વ ચાલતું હોઇ સામાન્ય નાગરિકથી લઇ સૌ કોઈ પોતાની રજૂઆત, ફરિયાદ, સમસ્યા કે વેદના લઈને આવતાં હોય છે. અહિં કોઈપણ મંત્રીને રજૂઆત કરતાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તુરંત એક્શન લેવાય છે. હવે દરેકની રજૂઆત સમસ્યા કે ફરિયાદ અલગ અલગ હોય તે સ્વાભાવિક છે પરંતુ જો તમારી રજૂઆત ખૂબ જ ખાનગી રાખવા યોગ્ય હોય તો કાળજી લેજો. કેમ કે મંત્રીને મળવા રોજેરોજ અનેક લોકો આવતાં હોય છે ત્યારે ચેમ્બરમાં એકાદ બે વ્યક્તિ હોતા નથી. વારાફરતી ભલે રજૂઆત થતી હોય પરંતુ ખૂબ મોટી ચેમ્બર હોઈ ખુરશીમાં બીજા મુલાકાતીઓ પણ બેઠાં હોય છે. આવી સ્થિતિમાં જો તમારી રજૂઆત ખાનગી રાખવી હોય તો મંત્રીના મદદનીશને ખાનગી બાબત હોવાની જાણ કરજો અથવા નજીકથી રજૂઆત કરવાની મંજૂરી લેજો. જો ચેમ્બરમાં બોલીને જણાવશો તો અન્ય મુલાકાતીઓ સ્વાભાવિક છે કે શાંતિથી સાંભળશે. આવી સ્થિતિમાં જો મંત્રી મંજૂરી આપે તો તમને નજીકથી ધીમા સ્વરે રજૂઆત કરવાની તક મળે અથવા રજૂઆતના કાગળો જમા કરાવી શકો છો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તમારી રજૂઆત કેવી છે અને તમે તેને માત્ર મંત્રી પૂરતું જ જણાવવા આગ્રહ રાખતાં હોય તો આ કાળજી મહત્વની છે. મંત્રીમંડળના તમામ મંત્રી હંમેશા તમારી રજૂઆત કે સમસ્યા હલ કરવા નિરાકરણ લાવવા માટે જ મહેનત કરતાં હોય છે. આ દરમ્યાન કાળજી એટલા માટે મહત્વની છે કે, રજૂઆત કરનાર એકલ દોકલ નહિ પરંતુ અનેક લોકો આવતાં હોઇ ચેમ્બરમાં અનેક મુલાકાતી બેઠાં હોય છે. આ મુલાકાતીઓ આખા રાજ્યમાંથી આવતાં હોઇ તમારી રજૂઆત કે સમસ્યા જો અન્ય મુલાકાતી તમારા વ્યવહાર વર્તનથી જાણી શકે છે. જોકે દરેક મુલાકાતી માત્ર પોતાની રજૂઆત કરવા આવતાં હોય છે તેઓને બીજાની રજૂઆત કે સમસ્યા પ્રત્યે ધ્યાન ના હોય પરંતુ તમારી કાળજી નહિ લેવાના સ્વભાવથી તમારી ખાનગી વાત કદાચ ના પણ રહે.