ધાર્મિક@ગુજરાત: આજે પ્રકાશનો પર્વ એટલે દિવાળી, કેટલા વાગ્યાથી શરૂ થશે દિવાળી- પૂજા માટે શું છે શુભ મુહૂર્ત ? જાણો એક જ ક્લિકે ?

 
555

અટલ સમાચાર, ડેસ્ક 

આ વર્ષે દિવાળીનો તહેવાર આજે 24 ઓક્ટોબર 2022ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળીના દિવસે માં લક્ષ્મીજી, ભગવાન ગણેશ, ભગવાન કુબેર અને માં સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે.  દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે માતા લક્ષ્મી ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે. 

એવું માનવામાં આવે છે કે, દીપાવલીના દિવસે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ લંકાપતિ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન રામના અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં લોકોએ આખી અયોધ્યાને દીવાઓથી શણગારી હતી. ત્યારથી સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ચાલો જાણીએ દિવાળી પર લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત, સંયોગ અને પૂજા વિધિ વિશે વિસ્તારથી...

APMC
જાહેરાત

લક્ષ્મી પૂજનનું શુભ મુહૂર્ત 

- અમાવસ્યા તિથિનો પ્રારંભ - 24 ઓક્ટોબર, 2022 સાંજે 05.27 વાગ્યાથી
- અમાવસ્યા તિથિ સમાપ્ત - 25 ઓક્ટોબર, 2022 સાંજે 04:18 વાગ્યા સુધી
- લક્ષ્મી પૂજનનું મુહૂર્ત - સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રિની 9 વાગ્યા સુધી
- પ્રદોષ કાલ - સાંજે 06.10 વાગ્યાથી 08.39 વાગ્યા સુધી
- વૃષભ કાલ - સાંજે 07:26 વાગ્યાથી રાત્રિના 09:26 વાગ્યા સુધી

લક્ષ્મી પૂજનની સામગ્રી

દિવાળીની પૂજા માટે રોલી, ચોખા, પાન-સોપારી, લવિંગ, એલચી, ધૂપ, કપૂર, ઘી કે તેલથી ભરેલા દીવા,  નારિયેળ, ગંગાજળ, ફળો, ફૂલ, મીઠાઈઓ, દુર્વા, ચંદન, ઘી, સૂકો મેવો, પતાશા, કળશ, બાજોટ, ફૂલનો હાર, શંખ, લક્ષ્મી-ગણેશ, માં સરસ્વતી અને ભગવાન કુબેરની મૂર્તિ, થાળી, ચાંદીના સિક્કા, 11 દીવા, માં લક્ષ્મીજીના વસ્ત્ર, માં લક્ષ્મીજીના શ્રૃંગારનો સામાન. 

દિવાળી પર આ વિધિથી કરો લક્ષ્મીજીની પૂજા 

સવારે સ્નાન કર્યા પછી બધા દેવી-દેવતાઓની પૂજા કરો. સાંજના સમયે લક્ષ્મી પૂજન દરમિયાન સૌથી પહેલા શુદ્ધિકરણ કરો. સૌથી પહેલા પોતાના પર જળ છાંટીને શુદ્ધિકરણ કરો. આ પછી બધી સામગ્રી પર પણ ગંગા જળ છાંટો. આ પછી તમારી હથેળીમાં ત્રણ વખત જળ લઈને તેને પીવો અને ચોથી વાર તમારા હાથ ધોઈ લો. એક બાજોટ પર સ્વસ્તિક ચિન્હ બનાવીને તેના પર લાલ કપડું પાથરો અને ભગવાન ગણેશ, માતા લક્ષ્મીજી, ભગવાન કુબેર અને દેવી સરસ્વતીજીની મૂર્તિઓ સ્થાપિત કરો. તે પછી દીવો પ્રગટાવો. આ પછી ભગવાન ગણેશનું ધ્યાન કરો.

આ પછી માતા લક્ષ્મી, ભગવાન કુબેર અને માં સરસ્વતીનું સ્મરણ કરો. ત્યારબાદ મૂર્તિઓની આગળ પાણીથી ભરેલો કળશ મૂકો. હવે ફળ, ફૂલ, મીઠાઈ,  ચંદન, ઘી, ડ્રાયફ્રૂટ્સ, પતાશા, કળશ ફૂલોની માળા વગેરેનો ઉપયોગ કરીને માં લક્ષ્મીજી અને ગણેશજીની પૂર્ણ વિધિથી પૂજા કરો. તેની સાથે માં સરસ્વતીજી, ભગવાન વિષ્ણુ, માં કાલી અને કુબેરની પણ વિધિપૂર્વક પૂજા કરો. પૂજા કરતી વખતે 11 નાના દીવા અને એક મોટો દીવો પ્રગટાવો.

માં લક્ષ્મીજીની પૂજા કરતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

  • તુલસીને વિષ્ણુ પ્રિય માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ સાથે તેમના લગ્ન થયા છે. આ કારણે તેઓ માતા લક્ષ્મીની બહેન છે. તેથી માં લક્ષ્મીને કંઈ પણ અર્પણ કરતી વખતે તેમાં તુલસી અને તુલસીના માંજર ન નાખો. આવું કરવાથી માં લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. 
  • માં લક્ષ્મીજી પૂજા કરતી વખતે પ્રયત્ન કરો કે દીપકની જ્યોત લાલ રંગની હોય. આ સિવાય દીવાને ભૂલથી પણ માં લક્ષ્મીજીની ડાબી બાજુએ ન રાખો, તેને જમણી બાજુએ રાખો, કારણ કે ભગવાન વિષ્ણુને વિશ્વમાં પ્રકાશ ફેલાવવાનું પ્રતીક માનવામાં આવે છે અને માં લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના પત્ની છે. તેથી લક્ષ્મીજીની પૂજા કરતી વખતે હંમેશા દીવાને જમણી બાજુએ રાખો.
  • માતા લક્ષ્મીજી પરિણીત છે, તેથી તેમને સફેદ ફૂલ ભૂલથી પણ ન ચઢાવો. માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે માત્ર લાલ અને ગુલાબી ફૂલ ચઢાવો.
  • માં લક્ષ્મીજીની મૂર્તિને ભૂલથી પણ સફેદ રંગના કાપડ પર ન રાખો. સાથે જ પૂજા કરતી વખતે સફેદ અથવા કાળા રંગની કોઈ પણ વસ્તુઓનો ઉપયોગ કરાવાનું ટાળો.
  • લક્ષ્મીજીની પૂજા કર્યા બાદ પ્રસાદને દક્ષિણ દિશામાં રાખો. દિવાળીની ઉજવણી કરતા પહેલા ઘરના બધા લોકોએ સાથે મળીને લક્ષ્મી માં અને ગણેશજીની પૂજા કરવી જોઈએ અને પ્રસાદ લેવો જોઈએ.

લક્ષ્મીજીની પૂજાના મંત્ર

જો તમે મહાલક્ષ્મીના મહામંત્ર ऊँ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद् श्रीं ह्रीं श्रीं ऊँ महालक्ष्मयै नम: ના કમલગટ્ટાની માળાથી ઓછામાં ઓછા 108 વખત જાપ કરશો, તો તમારી ઉપર માં લક્ષ્મીજીની કૃપા બની રહેશે.  

-“ॐ ह्रीं श्रीं लक्ष्मीभ्यो नमः॥”
“ॐ गं गणपतये नमः॥” 

દિવાળી લક્ષ્મી પૂજાના ઉપાય

દિવાળીના મહાઉપાય- દિવાળીની મધ્યરાત્રિએ 11થી 1 વાગ્યાની વચ્ચે લાલ કે પીળા વસ્ત્રો પહેરો. એક મુખી ઘીનો મોટો દીવો પ્રગટાવો. પૂર્વ દિશાની તરફ મુખ રાખીને પૂજાની શરૂઆત કરો. મંત્રના જાપ કરવા માટે સ્ફટિક અથવા રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો.

ધન પ્રાપ્તિના ઉપાય- દિવાળીની રાત્રે એક ભોજપત્ર અથવા પીળો કાગળ લો. આ ભોજપત્ર અથવા કાગળનો ટુકડો ચોરસ હોવો જોઈએ. તેના પર નવી લાલ પેનથી એક મંત્ર લખો. મંત્ર હશે "ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ". તેને માં લક્ષ્મીજીને અર્પણ કરો. આ પછી આ મંત્રનો અગિયાર માળાનો જાપ કરો. મંત્રનોજાપ કર્યા પછી આ ભોજપત્ર અથવા કાગળ તમારી તિજોરીમાં મૂકી દો. જો તમે ઈચ્છો તો તેને તમારા પર્સમાં પણ રાખી શકો છો.

દેવાથી મુક્તિ મેળવવાનો ઉપાય- હનુમાનજીની કેસરી રંગની મૂર્તિ લઈ આવો. તેમની સામે ચમેલીનો એકમુખી દીવો પ્રગટાવો. આ પછી તેમને એક તાંબાનો છિદ્રવાળો સિક્કો પણ અર્પિત કરો. હવે કોઈ ખાસ મંત્રનો ઓછામાં ઓછા 11 વાર જાપ કરો. મંત્ર હશે -  "ॐ नमो हनुमते भयभञ्जनाय सुखम कुरु फट स्वाहा." મંત્રનો જાપ કર્યા પછી ધન લાભ અને ઋણ મુક્તિ માટે પ્રાર્થના કરો.

નોંધ- અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.