બ્રેકિંગ@મહેસાણા: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી ચૂંટણી નહીં લડે તો અર્બુદા સેના પણ કોઈ રાજકીય પક્ષને સમર્થન નહીં કરે

 
Vipul Chaudhary

અટલ સમાચાર, મહેસાણા 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જામી ગઈ છે અને એક બાદ એક રાજકીય ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષોના નેતાઓની અદલા-બદલીનો ફરી દોર શરૂ થઈ ગયો છે. આ બધાની વચ્ચે પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીના આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી તેનો અંત આવ્યો છે. એક ખાનગી ન્યુઝ ચેનલ ના રિપોર્ટ મુજબ  પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. 

અર્બુદા સેનાએ ચૂંટણીને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. અર્બુદા સેના ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષને સમર્થન કરશે નહીં. આ ઉપરાંત અર્બુદા સેનાનો કોઈ સભ્ય ચૂંટણી નહીં લડે. અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દાઓને લઇ કામગીરી કરશે. અર્બુદા સેના સંપૂર્ણ બિન રાજકીય સંગઠન તરીકે કામ કરશે તેવો એક ખાનગી ચેનલ ના રિપોર્ટ માં સામે આવ્યું છે.

વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી AAPમાં જોડાશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અર્બુદા સેનાને હવે રાજકીય રંગ લાગી શકે છે. વિપુલ ચૌધરી અને અર્બુદા સેના આપ સાથે જોડાશે. જોકે, હવે આ તમામ અટકળોનો અંત આવ્યો છે. અર્બુદા સેનાએ નિર્ણય કર્યો છે કે તે ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષને સમર્થન કરશે નહીં. 

અગાઉ અર્બુદા સેનાના મહામંત્રીએ જાહેરાત કરી હતી કે, વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે, તેવી અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, AAPના ઉમેદવાર તરીકે વિપુલ ચૌધરી ચૂંટણી લડશે, પણ વિપુલ ચૌધરીની ઉમેદવારીની જાહેરાત AAPએ કરી નથી.