સ્પેશ્યલ@વિસનગર: ધુળેટીમાં 150 વર્ષ જૂની પરંપરા, ખાસડા યુદ્ધમાં હવે શાકભાજી, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર, ડેસ્ક
હોળી ધુળેટીની દેશભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી થતી હોય છે. જોકે ઘણી જગ્યાએ આ તહેવારની અલગ રીતે પણ ઉજવણી થાય છે. મહેસાણાના વિસનગરમાં ધુળેટી નિમિત્તે ખાસડા યુદ્ધ થાય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં લોકો એકબીજા પર ચપ્પલ અને જુતા ફેંકે છે. સમય બદલાતા આ પદ્ધતિમાં પણ થોડો બદલાવ આવ્યો છે. હવે ખાસડાની જગ્યા શાકભાજીએ સ્થાન લીધું છે. વિસનગરમાં આ પરંપરા અંગે માન્યતા છે કે, જેને ખાસડુ વાગે તેના માટે આખુ વર્ષ શુભ નીવડે છે. વિસનગરમાં આ પરંપરા છેલ્લા 150 વર્ષથી ચાલી આવે છે.
મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધુળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા 150 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા મારવામાં આવે છે. જેને વિસનગરના લોકૌ ખાસડા યુધ્ધ તરીકે ઓળખે છે. કહેવાય છે કે, આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જાય છે.
નોંધનીય છે કે, વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે 150 વર્ષથી ખાસડા યુધ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે. વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે. બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યાર બાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે.
શું છે વર્ષો જૂની માન્યતા ?
કહેવાય છે કે, જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂ જાય તેવી માન્યતા છે. માન્યતા છે કે. વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું, ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં થઇ છે, જે આજે પણ યથાવત છે. ફેર એટલો આવ્યો છે કે, હાલ ખાસડાનું પ્રમાણ ઓછું હોય છે. તેનું સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિતનાં શાકભાજીએ લીધું છે. ધુળેટીના દિવસે 150 વર્ષથી વિસનગરવાસીઓએ આ પરંપરાને સાચવી રાખી છે. જોકે, હવે ખાસડાને બદલે શાકભાજીનો જ મારો ચલાવીને આ ઉજવણી થાય છે.
આમ તો કોઇને શાકભાજી કે ખાસડુ છૂટ્ટુ મારવામાં આવે તો ઝઘડો થઇ જાય, પણ ધુળેટીના દિવસે વિસનગરમાં કોઇપણને શાકભાજી કે ખાસડુ મારવાની છૂટ છે. લોકો હોંશે-હોંશે ખાસડા અને શાકભાજીનો માર ખમે છે. કારણ કે, જુત્તું ખાવાથી પણ વર્ષ સારું જાય છે અને આ પણ એક અનોખી પરંપરા છે.