ચકચાર@સુરત: બાળકીને ઉછાળીને રમાડતા પંખામાં આવી ગઈ, 3 માસની માસૂમનું કરુણ મોત

 
Child

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પિતા મસરુદ્દીન શાહ તેમની ત્રણ મહિનાની બાળકીને ઉછાળીને રમાડી રહ્યા હતા. આ દરમિયાન બાળકીને પંખાની પાંખ વાગી જતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જે બાદ તેને સારવાર માટે દવાખાનામાં લઇ જવામાં આવી હતી. જોકે, તેનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતુ. 

સુરતના લિંબાયતમાં આવેલા ખાનપુરા વિસ્તારમા મસરુદ્દીન શાહનો પરિવાર રહે છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મસરુદ્દીનને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. શનિવારે મસરુદ્દીન તેની ત્રણ મહિનાની ત્રીજા નંબરની દીકરી ઝોયાને ઉછાળી ઉછાળીને રમાડી રહ્યા હતા. આ દરમિયાન ઝોયાનું માથું પંખાની એક પાંખમાં આવી ગયું હતું. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, આ બાળકી ઝોયાનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યુ હતુ. આ દુર્ઘટના બાદ લિંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.