અમદાવાદઃ વ્યાજે લીધેલા 2 લાખની સામે 18 લાખ ચુકવવા છતા વ્યાજખોરોનો ત્રાસથી આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદમાં વ્યાજખોરોને કાબુમાં લેવા રાજ્ય સરકારે કાયદા તો કડક બનાવ્યા તેમ છતાં. વ્યાજખોરો એટલી હદે બેફામ બન્યા છે. કે આજે વધુ એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી છે. વ્યાજે લીધેલા 2 લાખની સામે 18 લાખ ચુકવવા છતા. વ્યાજખોરોનો ત્રાસ અટકતો ન હતો. જેનાથી કંટાળી યુવકે સ્યુસાઇડ નોટ લખી અને પોતાની આપવીતી વર્ણવતો એક વીડિયો બનાવી મોતને વહાલુ કર્યુ છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. રાજુભાઈ બેલદાર જેણે ગઈકાલે મોડી સાંજે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે.
રાજુ બેલદારે બે વ્યાજખોરો પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેની સામે 18 લાખ ચુકવ્યા હોવા છતા તેને શાંતિ નહી પરંતુ મોત મળ્યુ. તે પણ બે વ્યાજખોરોના આતંકના કારણે. આ વ્યાજખોરો ગમે તે સમયે મૃતકના ઘરે જઈ ધમકી આપતા હતા. જે ધમકીના ત્રાસથી કંટાળી યુવકે ગઈકાલે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે.
જોકે યુવકે પોતાની સ્યુસાઇડ નોટમાં અને વીડિયોમાં ચિરાગ સાગર અને ગૌરાંગ ઉર્ફે મેલ્યો પટેલ નામના બે વ્યાજખોરના ત્રાસ વિશે ઉલ્લેખ કર્યો છે. જેથી અસલાલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઓડિયો ક્લિપ વ્યાજખોરોએ મૃતકના મોબાઇલ પર મોકલી હતી. જે સમયે યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી દવા ગટગટાવી હતી અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હતો. તે સમયે પણ વ્યાજખોરો ધમકી આપતા હતા.
જેથી અસલાલી પોલીસે આ અંગે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમો ઉમેરી કાર્યવાહી શરૂ કરી છે. મૃતકના પરિવાર દ્વારા પોલીસને મૃતકનો વીડિયો સ્યુસાઇડ નોટ તથા ધમકી આપતી ઓડિયો ક્લિપ પોલીસને સોંપી છે.જેથી પોલીસે પરિવારના નિવેદનના આધારે બન્ને વ્યાજખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે સવાલ એ છે કે, રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ કડક કાયદા હોવા છતાં વ્યાજખોરો નિર્દોષોના જીવ લઈ રહ્યા છે તે ક્યારે અટકશે એ મોટો પ્રશ્ન છે.