અમદાવાદ: સુરક્ષાના ભાગરૂપે એરપોર્ટની જેમ રેલ્વે સ્ટેશને પણ આ મશીન મૂકાશે
અટલ સમાચાર,ડેસ્ક
કાલુપુર રેલવે સ્ટેશન પર દરરોજ હજારોની સંખ્યમાં પ્રવાસીઓ અવરજવર કરે છે. આવા સમયે પ્રવાસીઓની સુરક્ષા ખૂબ મહત્વની છે. જેને લઈને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના લગેજનુ ચેકિંગ કરવા માટે સ્કેનર મશીન મૂકવામાં આવ્યા છે. એટલે એરપોર્ટની જેમ રેલવે સ્ટેશન પર પણ લગેજ સ્કેન થશે. આવું કરવાથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ પ્રવાસી લઈ જતા હશે તો ગેટ પર સુરક્ષા કર્મીઓના ધ્યાનમાં આવી જશે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશને હાલ 2 નંબરના 4 નંબરના ગેટ પર સ્કેનર મશીન મૂકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ચારથી પાંચ સ્કેનર મશીન મૂકાશે. જેના કારણે કાલુપુર રેલવે સ્ટેશન પર જતા તમામ લોકોએ પોતાનો સામાન ચેક કરાવવાનો રહેશે. જોકે, સુરક્ષાને લઈ પહેલા પણ ચેકિંગ થતુ હતુ, પરંતુ તેમાં જે પ્રવાસીઓના સામાન પર શંકા હોય તેમના લગેજનું મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવતું હતું. હવે તમામ ગેટ પર સ્કેનર મશીન લાગ્યા બાદ તમામ પ્રવાસીઓના લગેજનું ચેકિંગ થશે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, આમ કરવાથી સુરક્ષામાં વધારો થશે તેમજ કોઈ પણ પ્રવાસી શંકાસ્પદ વસ્તુઓ લઈ જઈ શકશે નહીં. કાલુપુર ખાતે લગાવવામાં આવેલા તેમજ નવા આવનારા મશીનો દેશમાં જ તૈયાર કરવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન પર સામાન્ય રીતે લોકોની ભીડ વધારે હોય છે ત્યારે દિવસમાં કેટલા લેગેજનું ચેકિંગ થઈ શકે છે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ લગેજ સ્કેનિંગને ફરજીયાત કરી દેવાશે.