અમદાવાદ : વ્યાજખોર ગાડી લઇ ગયો, વેપારીએ કરી પોલીસ ફરીયાદ
અટલ સમાચાર, અમદાવાદ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરોનો રાફડો ફાટી નીકળ્યો છે. કૃષ્ણનગરમાં વેપારીએ ત્રણ લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લઇ 3.30 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં વ્યાજખોરે તેમની ગાડી પચાવી પાડી હતી અને ધમકી આપી કે, ‘તારે કમિશનર કચેરી કે ગાંધીનગર ફરિયાદ કરવી હોય તો કરજે, મને કોઈ કંઈ નહીં કરે લે.’
અમદાવાદ નજીકના ભાટ ગામ પાસે રહેતા કમલેશ ગોલવાણી કાલુપુર સિંધી માર્કેટમાં કપડાંની દુકાન ધરાવે કરે છે. એક માસ પહેલા સૈજપુર બોઘા ખાતે રહેતા કિરણ દેસાઇ પાસેથી તેમણે ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને બાદમાં મુદતે 3.30 લાખ રૂપિયા ચૂકવી પણ દીધા હતા. બાદમાં આ વ્યાજખોર કિરણ વેપારીના ઘરે આવ્યો અને તેની ગાડી લઇ ગયો હતો.
વેપારીએ સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા કિરણે વેપારી કમલેશભાઇને ધમકી આપી કે, તેણે કમિશનર કચેરીમાં કે ગાંધીનગરમાં ફરિયાદ કરવી હોય તો કરી લે. તેનાથી પણ મેળ ન પડે તો કોઇ લુખ્ખાઓને સોપારી આપી દે.’ આ મામલે આખરે કંટાળીને કમલેશભાઇએ કૃષ્ણનગર પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધી કિરણની શોધખોળ હાથ ધરી છે.