ગુજરાત: લ્યો બોલો! અમદાવાદની 90% શાળાઓ પાસે ફાયરનું NOC જ નથી
અટલ સમાચાર,અમદાવાદ
સુરતનામાં બનેલા અગ્નિકાંડને લઇને લોકોમાં રોષ શાંત નથી થયો. ત્યાં અમદાવાદમાં મહાનગરપાલિકાના અધિકારીઓની લાલિયાવાડી સામે આવી છે. તંત્ર એક બાજુ બિલ્ડીંગ પર બનાવવામાં આવેલા શેડ અને ફાયર સેફ્ટી વગરના ટ્યુશન કલાસીસ પર તવાઈ બોલાવી રહ્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં મહાનગરપાલિકામાં એક નાગરિક દ્વારા કરવામાં આવેલી RTIમાં ખુલાસો થયો છે કે, અમદાવાદમાં ચાલતી 90% શાળાઓમાં ફાયરનું NOC નથી.
RTI કરનાર વ્યક્તિએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારે મેં RTIમાં ફાયર સેફ્ટીના આંકડાઓ માગ્યા ત્યારે 2017ની અંદર 414 શાળાઓએ ફાયર સેફ્ટીનું NOC લીધું છે. પણ આ NOC માત્ર એક વર્ષ માટે છે. દર વર્ષે શાળાના સંચાલકોએ NOC લેવાનું હોય છે. 2018માં માત્ર 186 શાળાઓએ ફાયર સેફ્ટીના પ્રમાણપત્રો જાહેર કર્યા છે. તે માત્ર એક વર્ષ માટે જ છે. ખરેખર એવું હોય છે કે, દર વર્ષે શાળાના સંચાલકોએ શાળામાં ફાયર સેફ્ટી ચેક કરાવીને પ્રમાણપત્રો મેળવવાના હોય છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 2,073 શાળાઓ આવેલી છે. આ શાળાઓમાંથી ત્યારે 2017ની અંદર 414 શાળાઓએ ફાયર સેફ્ટીનું NOC લીધું હતું અને 2018માં માત્ર 186 શાળાઓએ ફાયર સેફ્ટીનું NOC લીધું હતું. બીજી તરફ DEO RTIમાં આપેલી માહિતીને ખોટી ગણાવી રહ્યા છે.
DEOએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 90% શાળાઓમાં એવું નથી. અમુક શાળાઓએ NOC રીન્યુઅલ કરાવવાના બાકી છે. NOC નથી અને રીન્યુઅલ કરાવવું એ વિષય અલગ છે. આજની જ વાત કરું તો ઘણા સંચાલકો પાસે લાઈવ NOC છે. લાઈવ એટલે અત્યારે હાલ એ લોકોએ રીન્યુઅલ કરાવવાની રહેતી નથી. આવી સંસ્થાઓ છે. તેને અલગ કાઢીને બાકીની સંસ્થાઓ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.