બ્રેકિંગ@મહેસાણા: જીગ્નેશ મેવાણી સહિત તમામ દોષીતોને આ કેસમાં નિર્દોષ છોડી મુકવા હુકમ, જાણો શું હતો સમગ્ર મામલો ?

અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણાથી ધાનેરા સુધી વર્ષ 2017માં કરેલી આઝાદી કુચ મામલે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રેશ્મા પટેલ, કૌશિક પરમાર સહિતના દોષીતોને સજા કરતી મહેસાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના 3 માસની સજાની સામે સેસન્સ કોર્ટમાં અપીલ કરાઇ હતી. જે બાદ હવે અપીલમાં તમામ દોષીતોની નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે.
2017માં ઉનાકાંડની વરસી નિમિત્તે બનાસકાંઠાના દલિત પરિવારને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવે એ હેતુથી મહેસાણાથી ધાનેરા સુધી આઝાદી કૂચ કરવામાં આવી હતી. જોકે આ 'આઝાદી કુચ'માં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, સહિત કુલ 10 આરોપીઓને મહેસાણાની કોર્ટ દ્વારા 3 માસની જેલ અને 1000 રૂપિયા દંડની સજા ફરમાવવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ચુકાદાને પડકારવા જીજ્ઞેશ મેવાણી દ્વારા સેસન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ દરમ્યાન આ કેસમાં સરકાર દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, જીજ્ઞેશ મેવાણી, સુબોધ પરમાર, કૌશિક પરમાર, રેશ્મા પટેલ સહિત દશને ત્રણ મહિનાની નહીં પરંતુ છ મહીનાં ની સજા થાય. જોકે આજે ચુકાદામાં સેસન્સ કોર્ટ દ્વારા જીજ્ઞેશ મેવાણી, સુબોધ પરમાર સહિત તમામ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
કોને કોને થઈ હતી સજા ?
જીગ્નેશ મેવાણી
સુબોધ પરમાર
કૌશિક પરમાર
રેશ્મા પટેલ
ગીરીશ (રમુજી) પરમાર
જોઈતાભાઈ પરમાર
ખોડાભાઈ
અરવિંદભાઇ
ગૌતમભાઈ
કપિલભાઈ શાહ