હવામાન@ગુજરાત: કાળઝાળ ગરમી વચ્ચે ક્યારે આવશે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી રાજ્યમાં તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. જ્યારે આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે અને પછીના બે દિવસ યલો એલર્ટ રહેવાનું છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન કરતા જણાવ્યુ છે કે 15થી 16 મેના રોજ ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. આંધી વંટોળનું પ્રમાણ વધશે. તેમજ કૃતિકા નક્ષત્ર સમુદ્રમાં હલચલ કરાવે છે. તેના કારણે પવનની ગતિ વધે છે અને બાષ્પીભવન પ્રકિયા વધવાની છે.

રવિવારે જાણે ગરમીએ માજા મુકી હોય તેમ અમદાવાદ, પાટણની સાથે ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યા હતા. ભાવનગરની સાથે અમદાવાદ અને પાટણમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું. બાકીના શહેરોમાં તાપમાન 32થી 43 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. બપોરના આગ ઓકતા તાપને કારણે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. છેલ્લા છ દિવસથી આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. વૃધ્ધો અને બાળકો સાથે પશુ-પક્ષીઓની પણ હાલત કફોડી બની ગઈ છે.

આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહત થાય તેવી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, કાળઝાળ ગરમી પડી રહી છે અને હજુ પણ ગરમી પડવાની છે. 15થી 16 મેના રોજ ગરમીમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે. આંધી વંટોળનું પ્રમાણ વધશે આ સાથે કૃતિકા નક્ષત્ર સમુદ્રમાં હલચલ કરાવે છે. તેના કારણે પવનની ગતિ વધે છે અને બાષ્પીભવન પ્રકિયા વધશે. અરબ દેશોમાંથી પાકિસ્તાનની ઉપર થઇ ઘૂળ ગુજરાત તરફ આવશે અને ઘૂળનું પ્રમાણ વધશે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, ગુજરાતમાં આંધી વંટોળ જોવા મળશે. જે ચોમાસાના લક્ષણ દ્રષ્ટીગોચર થાય છે. ગુજરાતમાં મે મહિનામાં પ્રી-મોનસુન એક્ટિવિટી થતી હોય છે. જેના કારણે વરસાદ પણ આવે છે. ત્યારે 22થી 24માં પણ પ્રી-મોનસુન એક્ટિવિટી થશે. નોંધનીય છે કે, વરસાદની ઋતુ પહેલા પ્રિમોન્સુન એક્ટિવિટી થતી હોય છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, 28 મેથી 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા રહેશે. જોકે, રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું થાય છે અને રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસાની સાયકલ બરાબર ચાલે છે. 28 મે બાદ અરબી સમુદ્રમાં પણ હલચલ વધવાની શક્યતા છે. જોકે, હળવું વાવાઝોડું સક્રિય થશે. જેની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનું અનુમાન છે.