રિપોર્ટ@અમદાવાદ: દિવાળીના તહેવારો વચ્ચે રોગચાળો વકર્યો, હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી

 
Sola Civil

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં હાલ બેવડી ઋતુ જોવા મળી રહી છે, સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે આ બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં શરદી, તાવ, ખાંસી સહિત ટાઈફોડના અને ઝાડ ઉલ્ટી તેમજ કમળાના કેસો સતત નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં એક તરફ દિવાળીનો તહેવારનો નજીત છે ત્યારે અમદાવાદમાં રોગચાળો વકરતા હોસ્પિટલોમાં દર્દિઓની લાઈનો લાગી છે. છેલ્લા પાંચ દિવસમાં જ પાણીજન્ય રોગના 150 કેસ નોંધાયા છે જ્યારે ટાઈફોઈડના 62, ઝાડા ઉલ્ટીના 61, કમળાના 27 કેસ નોંધવામાં આવ્યા છે. 

અમદાવાદ શહેરમાં સવાર-સાંજ વાતાવરણ ઠંડુ હોય છે, જ્યારે બપોરે ગરમી હોવાથી બેવડી ઋતુના કારણે રોગચાળો બેકાબુ થયો છે. ઘરે-ઘરે બીમારીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ શરદી-ખાંસીના 2 હજાર જેટલા કેસ નોંધાયા છે. લોકો શરદી અને તાવના લીધે બીમાર પડી રહ્યા છે.

અમદાવાદમાં નવેમ્બર મહિનાના આરંભના પાંચ દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયાના 23, ઝેરી મેલેરિયાના 6 તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો હતો. પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી તપાસ બાદ 114 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો. પાણીના 10 સેમ્પલ અનફીટ જાહે૨ કરવામાં આવ્યા હતા.