હલ્લાબોલ@મોડાસા: નેશનલ હાઇવે પર સુરક્ષામાં છીંડા સામે જનાક્રોશ, ફરી ચક્કાજામ
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
મોડાસાના દાવલી પાટિયા પાસે બે દિવસ પહેલા એક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જેને લઇ આજે રાજેન્દ્રનગર ચોકડી પાસે લોકોએ ચક્કાજામ કરી રોષ ઠાલવ્યો હતો. નેશનલ હાઇવે પર આપેલા ડાયવર્ઝનને કારણે અકસ્માતમાં વધારો થતો હોવાના આક્ષેપથી હડકંપ મચી ગયો છે. ચારથી પાંચ ગામના સ્થાનિકોએ હાઇવે ઓથોરીટી સામે સડક સુરક્ષાની ખાતરી થાય તે માટે યોગ્ય ડાયવર્ઝન મુકી અકસ્માત નિવારવા માંગ કરી છે.
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના દાવલી પાટીયા પાસે બે દિવસ પહેલા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં 4 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જેને લઇ આક્રોશિત થયેલા સ્થાનિકોએ આજે સવારે રાજેન્દ્રનગર ચોકડી પાસે ચક્કાજામ કરતા હોબાળો મચી ગયો હતો. ચારથી પાંચ ગામના સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, નેશનલ હાઇવે ખખડધજ હોવાના કારણે અને માર્ગ સુરક્ષા અપુરતી હોવા સામે આંદોલન છે.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
સુત્રોએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ-ઉદેપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. સ્થાનિક ગામોના લોકો અને શાળાના બાળકો શરૂઆતથી નેશનલ હાઇવે પર સડક સુરક્ષા કરાવવા તંત્ર સામે આંદોલન ચલાવી રહ્યા છે. અગાઉ હાઇવે ઓથોરીટી સાથે જીલ્લા વહીવટીતંત્રની બેઠક છતાં પરિણામ નહિ મળ્યાનુ સમજી જનાક્રોશ યથાવત છે. ઉલ્લેખનિય છે કે, હાઇવે પર નજીકના લોકોને અને તેમના બાળકોને પુરપાટ ઝડપે દોડતા વાહનો સામે ડર હોઇ નારાજ ચાલી રહ્યા છે.