ખળભળાટ@શામળાજી: શેલ્ટરહોમમાં ઘમાસાણ, શ્રમિકોનો પોલીસ ઉપર હુમલો
અટલ સમાચાર, શામળાજી
અરવલ્લીના શામળાજી પાસેના શેલ્ટર હાઉસમાં રખાયેલા શ્રમિકોએ વતન જવાની માંગ સાથે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મીઓ ઘાયલ થતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ થતા અરવલ્લીનાં એસપી સહિત જિલ્લાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લવાઇ હતી. મહત્વનું છે કે, આ આશ્રયસ્થાનમાં યુપીનાં શ્રમિકોને રાખવામાં આવ્યાં છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અરવલ્લી જીલ્લાના શામળાજી પાસે યુપીનાં શ્રમિકોએ પથ્થરમારો કર્યો હતો ત્યાંના આશ્રયસ્થાનમાં તોડફોડ પણ કરવામાં આવી છે. પોલીસ પર હુમલો કરવા માટે આ શ્રમિકોએ લોખંડનાં સળિયાનો ઉપયોગ કર્યો હતો. આ શ્રમિકોએ આશ્રયસ્થાનમાં જ પહેલા તોડફોડ કરીને હથિયાર બનાવ્યાં હતાં. આ અંગે અરવલ્લી એસપીએ કડક કાર્યવાહીનાં સંકેત આપ્યા છે.
સમગ્ર મામલે સીએમઓ સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, જે પણ શ્રમિકોને પ્રાંતમાં જવું હોય તેમને તબક્કાવાર મોકલવામાં આવશે. તેઓ 1077 પર કોલ કરીને જણાવે. જિલ્લા વહીવટી તંત્ર આ અંગેની વ્યવસ્થા કરશે. વતન જવા માંગતા શ્રમિકોએ ટિકિટનાં રૂપિયા આપવા પડશે. શ્રમિકોની પહેલા મેડિકલ તપાસ કરવામાં આવશે.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા શ્રમિકોએ વતન તરફ જવાની ભારે માંગ કરી હતી. સાથે જમવા તેમજ રહેવાની સગવડો અપુરતી હોવાની પણ બૂમો ઉઠી રહી હતી ત્યારે તંત્ર દ્વારા શ્રમિકોને તેઓના વતન મુકવા અંગે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવામાં આવી હતી. મંજૂરી બાદ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ શ્રમિકોને વતનમાં મુકવા જવા માટે તજવીજ હાથ ધરી હતી.