હત્યા@ધનસુરા: ઝઘડા બાદ સમાધાનને અંતે ટોળાનો હુમલો, આધેડનું મોત
અટલ સમાચાર, ધનસુરા
ધનસુરા તાલુકાના ગામે ગઇકાલે સામાન્ય બાબતમાં માથાકૂટ થયા બાદ આજે આધેડની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. સમાધાન કર્યા બાદ આજે ગામના ભલાજી ખાંટ રીક્ષા લઇ જતા દરમ્યાન ટોળું તેમના ઉપર તુટી પડ્યુ હતુ. હુમલો અને મારામારી એટલી બધી ભયંકર બની ગઇ હતી કે, આધેડની ઘટનાસ્થળે જ હત્યા નિપજાવી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ઘટનાને લઇ ધનસુરા પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના કનાલ ગામે હત્યાના બનાવથી ચકચાર મચી ગઇ છે. કનાલ ગામે ગઇકાલે કોઇ કારણોસર થયેલી સામાન્ય ટકરાવ બાદ સમાધાનની દિશામાં સફળ રહ્યા હતા. જોકે આજે બપોરે કનાલ ગામના ભલાજી ખાંટ(ઉ.વ.50) પોતાની રીક્ષા લઇ પસાર થઇ રહ્યા ત્યારે ટોળાનો સામુહિક હુમલો કાળ સાબિત થયો છે. અચાનક એક જ્ઞાતિનું ટોળું આધેડ ઉપર તુટી પડ્યા બાદ લોહીલુહાણ હાલતમાં મુકી નાસી ગયા હતા. જોકે ગણતરીની મિનીટોમાં હુમલાને અંતે આધેડનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજતા હત્યાનો કિસ્સો સામે આવ્યો છે.
સુત્રોએ જણાવ્યું હતુ કે, કનાલ ગામે ગઇકાલે બબાલ બાદ આજે હત્યા થતાં અંજપાભરી સ્થિતિ સર્જાઇ છે. ભલાજી ખાંટની હત્યાની જાણ સૌપ્રથમ પુર્વ તાલુકા પંચાયત સદસ્ય સુબાજીને થતાં તેમને પોલીસવડાને જાણ કરી હતી. જેથી ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે શંકાના આધારે બે ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભલાજી ખાંટની હત્યાથી તેમના પત્નિ, ત્રણ સંતાનો સહિત પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.