ઠાકોરસેના@આનંદોઃ 4 દિ’માં વાજતે-ગાજતે અલ્પેશ-ધવલ ભાજપ સાથે ભળી જશે
અટલ સમાચાર, મહેસાણા
ભાજપ અલ્પેશ અને ધવલને પોતાના મત વિસ્તારમાંથી પેટા ચુંટણી લડાવવાનું આશ્વાસન આપી ચુકી છે
ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ, ધવલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધા બાદ રાજકારણમાં ગરમી પકડાઈ ગઈ હતી કે હવે શું? ઠાકોરસેનાના કાર્યકર્તાઓ પોતાના બન્ને યુવા નેતાઓના રાજીનામા બાદ અટવાઈ પડ્યા હતા. આગામી 4 દિવસમાં બન્ને નેતાઓ ભાજપનો કેસરીયો ખેંસ ધારણ કરી લેવાની હૈયાધારણા મળતા ઠાકોરસેના ઉત્સાહમાં આવી ગઈ છે. જાણવા મળી રહ્યા મુજબ હજારો સમર્થકોનો સંપર્ક કરી ગાંધીનગર સ્થિત કમલમમાં કમળનો ખેંસ પહેરી લેશે.
સૂત્રોમાંથી મળી રહેલી માહિતી અનુસાર ભાજપમાં અલ્પેશ ઠાકોર ગાંધીનગર કમલમ્ ખાતે કેસરિયો ખેસ ધારણ કરશે. આ માટે સમર્થકો ઉત્સાહ પૂર્વક અલ્પેશ અને ધવલને સપોર્ટ કરવા પહોંચશે. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગ કર્યા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આગામી 4 જ દિવસમાં ભાજપ સાથે જોડાઈ જશે.
અલ્પેશ ઠાકોર તેમના સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કરે તે માટે તૈયારીઓ થઇ રહી છે. ગાંધીનગર સ્થિત કમલમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા સહિતના અન્ય ઠાકોરસેનાના સમર્થકો ભાજપમાં જોડાઈ જશે.
સૂત્રો કહે છે કે, વિધાનસભાના સત્ર બાદ રૂપાણીના મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ નક્કી છે. જેમાં અલ્પેશ ઠાકોરને પણ તક મળી શકે છે.
અમદાવાદમાં સભ્ય બાદ મંત્રી પદ મળી શકે
ઠાકોર સમર્થકો સાથે અલ્પેશ ઠાકોર પોતાના સમર્થકો સાથે ગાંધીનગરમાં ભાજપના હોદ્દેદારોની હાજરીમાં સભ્ય તરીકે જોડાઈ જશે. ભાજપે અલ્પેશ અને ધવલને રાધનપુર અને બાયડ બેઠક ઉપરથી પેટાચુંટણીમાં લડાવવાનું આશ્વાસન આપી ચુક્યા છે. જ્યારે હવે વિધાનસભાના સત્ર બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થતાં જ અલ્પેશ ઠાકોરને ભાજપ મંત્રીપદ આપશે તેવું સૂત્રોનું કહેવું છે.
અલ્પેશ ઠાકોર ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાશેના મેસજ વાયરલ
અલ્પેશ ઠાકોર આગામી 15 જુલાઇના રોજ બપોરે 2 વાગે ગાંધીનગર સ્થિત કમલમ્ કાર્યાલય ખાતે કેસરિયો ખેસ ધારણ કરશે તેવા મેસેજ પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતા.