ધાર્મિક@પાટણ: ગુજરાતના એકમાત્ર નારાયણ મંદિરે ઉત્તરાયણે ભગવાનને પહેરાવાયા ઘી ના વાઘા

અટલ સમાચાર, ડેસ્ક
ઐતિહાસિક નગર પાટણમાં શિવ મંદિરો અને જૈન મંદિરોનો સુવર્ણ ઈતિહાસ છે, તો સમગ્ર ગુજરાતમાં એકમાત્ર નારાયણ ભગવાનનું મંદિર પાટણમાં છે, જ્યાં ઉતરાયણના દિવસે ઘીના વાઘા ભગવાનને પહેરાવવામાં આવે છે. અહીં દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. મોગલ શાસનમાં અકબરના સમયથી આ પ્રથા આજે પણ ચાલી આવી છે. આ નારાયણ મંદિરનો ઇતિહાસ ઘણો જ રોચક છે દિલ્હીમાં જ્યારે અકબરનું શાસન હતું ત્યારે બિરબલની એક ટેક હતી કે દર પૂનમે તે દ્વારકામાં ભગવાનના ઠાકોરજી દર્શન કરવા માટે આવતા હતા ત્યારે અકબરે તેઓને કહેલ કે ભગવાનને આપણે દિલ્હી લાવીએ તેમ કહી સેનાની એક ટુકડીને મૂર્તિ લાવવા ગુજરાતમાં મોકલી હતી.
જો કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ લઈને ગાડું દિલ્હી તરફ જતું હતું ત્યારે પાટણમાં આ ગાડું આવ્યુ હતું અને રાત્રી વિસામો કર્યો હતો. ત્યારે ભગવાને અહીં જ વાસ કર્યો હતો અને સમય જતાં ભગવાનની મૂર્તિ ભોયરામાં હતી ત્યારે એક ભક્તને ભગવાન નારાયણે સ્વપ્નમાં આવી ખોદકામ કરવાનું કહેતાં અહીંથી મૂર્તિ મળી આવી હતી અને ત્યારબાદ તેની સ્થાપના થઈ હતી. ભગવાનની મૂર્તિ નિર્વસ્ત્ર હતી ત્યારે ભગવાનના કહેવા મુજબ ઘીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. તે દિવસ ઉતરાયણનો હતો. ત્યારથી પરંપરા અનુસાર દર વર્ષે ઉત્તરાયણના દિવસે ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ અંદાજે 4 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા હતા, જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભગવાન નારાયણના ઘીના વાઘા બનાવવા પાછળ પાંચથી છ કલાક જેટલો સમય લાગે છે. શુદ્ધ ઘીને પાણીમાં મિશ્રિત કરી તેને બરોબર ફીણવામાં આવે છે અને ત્યારબાદ પાણીને બહાર કાઢવામાં આવે છે અને જે ઘી બચે છે તેનો ઉપયોગ કરીને વાઘા તૈયાર કરવામાં આવે છે. ચાલુ વર્ષે ચાર કિલો ઘીનો ઉપયોગ કરીને ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા. સાલવીવાડા વિસ્તારમાં આવેલ નારાયણ ભગવાનના મંદિર ખાતે વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ઉત્તરાયણના દિવસે ઘીના વાઘાના દર્શન કરવાનું વિશેષ મહત્વ હોય મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારોમાંથી અને શહેરમાંથી દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરવા ઊમટ્યા હતા અને ઘીના વાઘા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાન નારાયણ મંદિરને ઉત્તરાયણ નિમિત્તે પતંગની આંગીથી સુશોભિત કરવામાં આવ્યું હતું.આમ વર્ષો પૂર્વે ઉત્તરાયણના દિવસે ભગવાન નારાયણને કરાયેલ ઘીના વાઘાની પ્રથા આજે પણ વર્તમાન ટેકનોલોજી યુગમાં પણ વર્ષોની પરંપરા આજે પણ પાટણમાં અકબંધ જોવા મળી રહી છે.