બનાસકાંઠાઃ દીકરીનું સગપણ તૂટી ગયા બાદ તેની માતાએ જમાઈ સાથે સંસાર શરૂ કરી દીધો

અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠામાં એક કિસ્સાએ ખૂબ જ ચર્ચા જગાવી છે. જેમાં દીકરીનું સગપણ તૂટી ગયા બાદ તેની માતાએ જમાઈ સાથે સંસાર શરૂ કરી દીધો છે. 108 અભયમ્ હેલ્પલાઇન પર એક ફોન કોલ આવ્યો હતો. જે બાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. હવે આ કિસ્સામાં સમાજના આગેવાનો અને અભયમ્ તરફથી મહિલાને પરત પોતાના ઘરે લઈ જવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
ગુજરાતના એક સમાચારપત્રમાં છપાયેલા અહેવાલ પ્રમાણે 181 અભયમ હેલ્પલાઇન નંબર પર મદદ માટે એક કોલ આવ્યો હતો. જેમાં મહિલાએ ફરિયાદ કરી હતી કે તેનો પતિ તેના પર ત્રાસ ગુજારે છે. મહિલાની ફરિયાદ બાદ અભયમનો સ્ટાફ પોલીસ સાથે ફોન કરનાર મહિલાના ઘરે પહોંચ્યો હતો. અહીં મહિલાની વાત સાંભળીને ખુદ અભયમનો સ્ટાફ આશ્ચર્યમાં મૂકાયો હતો.
હકીકતમાં અભયમ પાસે મદદ માંગનાર મહિલાની ઉંમર 46 વર્ષની હતી. મહિલાના પતિનું વર્ષો પહેલા મૃત્યું થયું હતું. મહિલા પોતાના સંતાનો સાથે જીવન ગુજારી રહી હતી. આજથી ચાર વર્ષ પહેલા એક યુવક મહિલાની દીકરીને જોવા માટે આવ્યો હતો. જે બાદમાં બંનેનું સગપણ નક્કી કરવામાં આવ્યું હતું. કોઈ કારણસર મહિલાની દીકરી અને યુવકનું સગપણ અઢી મહિના જ ચાલ્યું હતું. જે બાદમાં આ કહાનીમાં ટ્વીસ્ટ આવ્યો હતો. દીકરીનું જે યુવક સાથે સગપણ થયું હતું તે 30 વર્ષીય યુવક સાથે તેની માતાએ લગ્ન કરી લીધા હતા.
મહિલાની વાત સાંભળીને અભયમની ટીમે તેમને પોતાના સંતાનો પાસે પરત જવા માટે સજાવ્યા હતા. મહિલાને પોતાના પ્રથમ પતિથી ત્રણ દીકરી અને એક દીકરો છે. હાલ મહિલાના ચારેય સંતાનો તેના દાદી સાથે રહે છે. આ કેસમાં હવે અભયમની ટીમ અને સામાજિક અગ્રણીઓએ મહિલાને સમજાવીને પોતાના સંતાનો પાસે પરત લઈ જવાની તજવીજ હાથ ધરી છે. એવી પણ માહિતી મળી છે કે અભયમની સમજાવટ બાદ મહિલા પોતાના સંતાનો પાસે પરત જવા માટે તૈયાર થઈ ગઈ છે. મહિલા છેલ્લા ચાર વર્ષથી યુવક સાથે રહેતી હતી. બંનેએ એક મંદિરમાં ફૂલહાર કરી લીધા હતા.