ચેતવણી@લાખણી: ગૌમાતાના 500 કરોડ છૂટા કરો, નહિ તો અન્ન જળનો ત્યાગ કરીશું, જીવ દેવાની પણ તૈયારી

 
BK

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત સરકારે અગાઉ ગૌશાળાને 500 કરોડ આપવાનું કહીને ન ચુકવતા ગૌભકતો પ્રાણ આપવાની તૈયારી સાથે ગૌભકતો દ્વારા સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેમાં 19-09-2022  સુધી ગૌશાળાઓને ચુકવણા નો લેખીત પત્ર ન આપવામાં આવે તો તા. 20-09-2022 થી જસરા ગામના મહેશ દવે અને રમેશ ગામોટ અન્ન-જળનો ત્યાગ કરી સરકાર સામે ગાંધીનગર ખાતે  આંદોલન કરશે. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

બનાસકાંઠા જિલ્લાથી ફરી એકવાર વધુ એક આંદોલનના એંધાણ મંડાઇ રહ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્ય સરકારે અગાઉ ગૌશાળાને 500 કરોડ આપવાનું કહીને અત્યાર સુધી કોઈ પાન ચૂકવનું ન કર્યાના આક્ષેપ સાથે હવે ગૌભકતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ હવે બનાસકાંઠા જિલ્લાના જસરા ગામના મહેશભાઈ દવે અને રમેશભાઈ ગામોટે અન્ન-જળનો ત્યાગ કરી સરકાર સામે ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં પણ 3-4 ગૌભકતોએ અન્નનો ત્યાગ કરી થરાદ ખાતે ઉપવાસ ચાલુ કરેલ છે, જે બાદમાં હવે આ ઉપવાસ આંદોલન 20-09-2022 થી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે લઈ જવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જસરા ગામના મહેશભાઈ દવેએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જો 19-09-2022  સુધી ગૌશાળાઓને ચુકવણાનો લેખીત પત્ર નહી આપવામાં આવે તો તા. 20-09-2022થી ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે,  હાલમાં છેલ્લા દસ દિવસથી આ મુદ્દે રમેશભાઈએ  અન્નનો ત્યાગ કર્યો છે. 

નવ વર્ષથી અનાજ નથી લેતા મહેશ દવે 

સ્થાનિક વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લાના જસરા ગામના મહેશભાઈ દવે છેલ્લા નવ વર્ષથી અનાજ નથી લેતા. આ સાથે નવ વર્ષથી ગૌ વ્રત પણ કરે છે. મહેશ દવે ગાયના દુધ દહી સિવાય બીજું દુધ દહી પણ નથી લેતા. આ સાથે મહેશ દવે ગૌશાળા-પાંજરાપોળ સાથે સંકળાઈ જીવદયા પ્રવૃત્તિ પણ કરે છે. તો અનેક અબોલ જીવોને કતલખાને જતાં બચાવવાનું કામ પણ કરે છે.