બનાવ@થરાદ: અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત, 1 ઇજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, થરાદ
થરાદ તાલુકાના ગામ નજીક અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. મૂળ સાંચોરનો યુવક થરાદના યુવક સાથે બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. આ દરમ્યાન અચાનક એક અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક ફંગોળતાં બંને ઇજાગ્રસ્ત બન્યાં હતા. જેમાં સાંચોરના યુવકને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં સ્થળ પર જ તેનું મોત થયુ હતુ. આ તરફ થરાદના યુવકને સારવાર અર્થે ખસેડાયા બાદ મૃતકના ભાઇએ અજાણ્યાં ફરાર વાહનચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના થરાદ પંથકના મેસરા ગામ પાસે અકસ્માતની ઘટનામાં એકનું મોત થયુ છે. રાજસ્થાનના જાલોર જીલ્લાના સાંચોર તાલુકાના ધાણતા ગામનો રમેશકુમાર લક્ષ્મણારામ મેઘવાળ અન થરાદના મીયાલ ગામના ચેલાભાઇ શંકરાભાઇ મણવર બંને બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન મેસરા ગામ નજીકના પેટ્રોલપંપ પાસે અજાણ્યાં વાહને તેમને ટક્કર મારી હતી. જેમાં રમેશભાઇની ખોપરી તુટી ગઇ અને મોઢામાંથી લોહી જતું હોઇ ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. આ તરફ ચેલાભાઇને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. અકસ્માતની જાણ થતાં મૃતકના ભાઇ સહિતના તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં મૃતકની લાશને થરાદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગે ખસેડાઇ હતી. આ તરફ થરાદના ચેલાભાઇને પણ હાથ ભાગી ગયો તો અન્ય પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. સમગ્ર મામલે મૃતકના ભાઇએ અજાણ્યાં ફરાર વાહન ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.